પાતિયાસરાના કેટલાક ખેડૂતો પાસે પાણી મળતું હોવાનું લેખિત લખી લેવાયું હતું
થરાદ તાલુકાના જામપુર ડિસ્ટ્રીમાંથી નીકળતી પાતીયાસરા કેનાલમાં છેલ્લા બે વર્ષથી પાણી મળતું ન હોવાથી ખેડૂતોમાં રોષ છે. આ અંગેનો અહેવાલ નવ ગુજરાત સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેનો અધિકારીઓના પગ તળે રેલો આવ્યો હતો. જેમણે નહેરમાં પાણી છોડવાને બદલે નહેરમાં પાણી વહેતું હોય તેવો જૂનો ફોટો ડાયરેકટરને બતાવી ઉઠા ભણાવવામાં આવતા હોવાનો પર્દાફાશ થતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
થરાદ તાલુકાની પાતીયાસરા કેનાલમાં છેલ્લા બે વર્ષથી પાણીનું એક ટીંપુ પણ આવ્યું ન હોવાનો અહેવાલ નવ ગુજરાત સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેનું કટીંગ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે નર્મદાના ડાયરેકટર વિવેક કાપડીયાને મોકલાવ્યું હતુ. જેથી નર્મદાના ડાયરેકટરે નર્મદાના અધિકારીઓને કટીંગ મોકલી પુછતાછ કરતાં અધિકારીઓના પગ તળે રેલો આવ્યો હતો. જોકે આ અધિકારીઓએ કેનાલમાં પાણી છોડવાને બદલે અગાઉ કેનાલમાં પાણી વહેતુ હતુ. તેનો ફોટો પ્રુફ તરીકે મોકલ્યો હતો. જે ફોટો વિવેક કાપડીયાએ ધારાસભ્યને મોકલ્યો હતો અને પાણી ચાલુ હોવાનું કહ્યું હતુ. આમ નર્મદાના અધિકારીઓ તેમના ડાયરેકટરને જૂના ફોટા મોકલી ઉઠા ભણાવી રહ્યા છે. સરકારની આવી નીતિરીતીના કારણે ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે.
પાણી મળે છે તેવું કોન્ટ્રાકટરે લખાણ લખાવ્યું
નર્મદાના અધિકારીઓ તો એમના ડાયરેકટરને ગૂમરાહ કરી રહ્યા છે. સાથે સાથે કોન્ટ્રાકટર પણ પાણી મળતું હોવાના ખેડૂતો પાસે લખાણો લખાવી રહ્યા છે. જેમાં ધી પાતીયાસરા મા. જામપુર ડીસ્ટ્રી સિંચાઇ પાણી વપરાશકર્તા મંડળના પાંચ જેટલા ખેડૂતો પાસેથી આ કેનાલમાં પાણી મળતું હોવાનું લખાણ લખાવી દેવામાં આવ્યું છે.
ખેડૂતોએ કોરીધાકોર કેનાલમાં ઉભા રહી ફોટા પડાવ્યાં
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતુ કે, કેનાલની શરૂઆતમાં જે ખેડૂતો છે. તેમને પાણી મળી રહ્યું છે. પરંતુ છેવાડાના વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પાણીનું એક ટીંપુ પણ મળ્યું નથી. જેની સાબિતિ માટે કોરીધાકોર કેનાલમાં ઉભા રહીને ખેડૂતોએ ફોટા પણ પડાવ્યા છે.