– જામનગરમાં પણ બસપા એટલે કે બહુજન સમાજ પાર્ટીએ 3 બેઠકો જીતી
– બપોરે 12 વાગ્યા સુધીમાં આમ આદમી પાર્ટીએ 8 બેઠકો જીતી લીધી
– AIMIM એ 10 હજાર વોટથી કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પાડ્યું
6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે.પરિણામ પર સ્પષ્ટ નજર કરીએ તો,લગભગ દરેક મહાનગરપાલિકામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.ભાજપના ઉમેદવારો વિજય તરફ આગળ વધી રહ્યાં છે.પરંતું 2021ની આ ચૂંટણીમાં ગુજરાતના રાજકારણનું ચિત્ર બદલાયેલું જોવા મળ્યું.જ્યાં નક્શામાં ભગવો લહેરાતો હતો,ત્યા હવે અન્ય ત્રણ રાજકીય પાર્ટીઓની હાજરી પણ દેખાઈ રહી છે.જે ગુજરાતના મતદાતાઓનો બદલાયેલો મિજાજ બતાવી રહ્યું છે. 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAP, AIMIM અને બસપાની એન્ટ્રી થઈ છે.
ગુજરાતમાં આપનો ઉદય
આ ત્રણ રાજકીય પાર્ટીની 2021ની ચૂંટણીમાં મોટી અસર દેખાઈ રહી છે.જેમાં ખાસ કરીને સુરતમાં જોઈએ તો,અહી બપોરે 12 વાગ્યા સુધીમાં આમ આદમી પાર્ટીએ 8 બેઠકો જીતી લીધી છે.ગુજરાતની જનતાને પહેલીવાર ત્રીજા પક્ષની હાજરી મળતા લોકોએ પોતાનુ વલણ બદલ્યું છે.જે ભવિષ્યમાં થનારા મોટા રાજકીય ફેરફારના સંકેત આપી રહ્યું છે.સુરતમાં હજી આમ આદમી પાર્ટી વધુ બેઠકો જીતે તે આંકડાઓ પરથી દેખાઈ રહ્યું છે.તો સુરતમાં કોંગ્રેસ સાવ હાંસિયામાં ધકેલાયું છે.જેમાં પાટીદાર ફેક્ટર પણ કામ કરી રહ્યું છે.છેલ્લી ઘડીએ પાસની નારાજગી કોંગ્રેસને ભારે પડી છે.પરંતુ સુરતમાં એક નવી રાજકીય પાર્ટીનો ઉદય થયો છે તેવુ ચોક્કસ કહી શકાય.
ભાવનગરમાં બસપાને 3 સીટ મળી
તો બીજી તરફ જામનગરમાં પણ બસપા એટલે કે બહુજન સમાજ પાર્ટીએ 3 બેઠકો જીતી છે. બસપા એ અહી ભાજપના ગઢમાં ગાબડુ પાડ્યું છે.સ્થાનિક સ્તરે લોકો અન્ય રાજકીય પક્ષો તરફ વળ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
AAP અને AIMIM ત્રીજો વિકલ્પ બન્યું
ગુજરાતમાં AAP અને AIMIM ત્રીજો વિકલ્પ બની રહ્યું છે.મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતમાં અસુદ્દીન ઔવેસીની AIMIM ની હાજરીને નકારી શકાય નહિ.હજી સુધી AIMIM પાર્ટીને ભલે કોઈ સ્પષ્ટ જીત મળી નથી,પરંતુ અમદાવાદમાં AIMIM એ કોંગ્રેસના મત તોડ્યા છે. AIMIM એ 10 હજાર વોટથી કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પાડ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.જોકે, અમદાવાદની જે બેઠકો કોંગ્રેસનો ગઢ હતી,તેને સાચવવામાં કોંગ્રેસ સફળ નીવડ્યું છે.પરંતુ અહીં AIMIM એ મત તોડ્યા છે.


