નવી દિલ્હી : દેશના રસ્તાઓ પર હવે ટોલ પ્લાઝા જોવા મળશે નહીં.કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું કે સરકાર એક વર્ષની અંદર તમામ ટોલ પ્લાઝાને ખતમ કરવાની યોજના પર કામ કરી રહી છે.તેમણે કહ્યું કે ટોલ કલેક્શન માટે નવી GPS સિસ્ટમ શરૂ કરવામાં આવશે.ત્યારબાદ કોઈએ પણ ટોલ માટે થોભવાની જરૂર પડશે નહીં.
અમરોહાથી BSP સાંસદ કુંવર દાનિશ અલીએ ગઢમુક્તેશ્વર પાસે રસ્તા પર નગર નિગમની સીમામાં ટોલ પ્લાઝા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.જેના પર નીતિન ગડકરીએ જણાવ્યું કે જૂની સરકારોમાં શહેરની પાસે ટોલ બનાવવામાં આવ્યા હતા.જે અન્યાયપૂર્ણ છે.અમે આવા ટોલને કાઢવાનો નિર્ણય કરી ચૂક્યા છીએ.તેમણે કહ્યું કે અમારી સરકાર એક વર્ષની અંદર દેશના તમામ ટોલને ખતમ કરશે.
તેમણે જણાવ્યું કે ટોલ પ્લાઝા ખતમ કર્યા બાદ GPS દ્વારા ટોલની વસૂલાત થશે.રોડની એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટસ પર કેમેરા હશે.જ્યારે તમે કોઈ રસ્તા પર એન્ટ્રી કરશો અને જ્યાં નીકળશો,બંને જગ્યા પર તમારી ઈમેજ કેમેરાથી રેકોર્ડ કરી લેવામાં આવશે.તે ગણતરીથી તમારી પાસે ટોલ લેવામાં આવશે.એટલે કે જેટલી મુસાફરી કરશો ફક્ત એટલો જ ટોલ કપાશે.તમારે ક્યાંય થોભવાની જરૂર નહીં પડે.નીતિન ગડકરીએ જાહેરાત કરી કે હવે GPS સિસ્ટમ નવી ગાડીઓમાં લાગેલું જ આવે છે પરંતુ જૂની ગાડીઓમાં અમે GPS ફ્રીમાં લગાવી આપીશું.

