– બાળકીના પિતા કામ પર ગયેલા અને માતા પાસે ફોન ન હોવાથી 108માં ફોન ન થઈ શક્યો
– રિક્ષા કે અન્ય વાહન ન મળતાં માતા બાળકીને ખભે નાખી હોસ્પિટલ જવા નીકળી હતી
સુરત : પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.ગઈકાલે રાત્રે એકાએક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી.કર્ફ્યૂનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું.પોતાની બાળકીની એકાએક તબિયત લથડતાં માતાએ પોતે જ તેને ઊંચકીને રીતસરની સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી.જોકે બાળકીને સારવાર મળે એ અગાઉ જ તેનું મોત થયું હતું.
બાળકીની તબિયત લથતાં માતા તેની દીકરીને પાંડેસરાના વાલકનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો.રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કર્ફ્યૂનો સમય શરૂ થઈ ગયો હતો,જેથી બસ કે ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે મળી ન હતી.આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તે 108માં પણ ફોન કરી શકી ન હતી.
માતા રીતસરની પોતાની બાળકીને ખભે ઉપાડીને હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી,પરંતુ કમનસીબે બાળકી હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ સોસિયો સર્કલ ખાતે રસ્તામાં બાળકીએ જીવ ગુમાવ્યો હતો.બાળકીને માત્ર ઝાડા-ઊલટી થયાં હતાં.સવાર સુધી તે ખૂબ જ સ્વસ્થ હતી અને ઘરમાં રહેતી હતી.એકાએક જ તેને રાત્રિના સમય દરમિયાન ત્રણથી ચાર મિનિટ ઝાડા થયા બાદ તે ઢળી પડી હતી.ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોઈ માતાએ પોતાની દીકરીને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો પરંતુ શહેરમાં કોરોના સંક્રમણ વધતાની શહેરમાં કર્ફ્યૂ હોય વાહન ન મળતાં સમયસર,હોસ્પિટલની સારવાર મેળવવામાં મુશ્કેલી પડી હતી.મહત્ત્વપૂર્ણ છે કે આવા સંજોગામાં સૌપ્રથમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.