દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી મોદી સરકાર ગમે ત્યારે લોકડાઉન લાદી દેશે એવી અટકળો ચાલી રહી છે.ગુરૂવારે કોરોનાના કારણે લદાયેલા લોકડાઉનને એક વરસ થયું ત્યારે મોદીના રાષ્ટ્રજોગ સંબોધનના વીડિયો સાથે સોશિયલ મીડિયા પર ફરી લોકડાઉન લદાશે એવી વાતો પણ વહેતી થઈ.જો કે સરકારનાં સૂત્રોના મતે,મોદી સરકાર આખા દેશમાં ફરી લોકડાઉન લાદવા નથી માંગતી પણ કોરોનાના નવા કેસ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે એવા જિલ્લાઓમાં આકરાં નિયંત્રણો આવી શકે છે.
મોદી સરકારે દરેક રાજ્ય પાસેથી આવા જિલ્લા અને શહેરોની વિગતો માગી
મોટાં શહેરોમાં પણ આ નિયંત્રણો લાગુ કરાશે. મોદી સરકારે દરેક રાજ્ય પાસેથી આવા જિલ્લા અને શહેરોની વિગતો માગી છે.આ જિલ્લા-શહેરોમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસોમાં કેટલો વધારો થયો તેની વિગતો પણ મંગાઈ છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેનો અભ્યાસ કરીને ભલામણ કરે તેના આધારે ક્યા જિલ્લા-શહેરોમાં નિયંત્રણ લાદવાં તે નક્કી કરાશે.મોદી આવતા અઠવાડિયે રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ફરી વાતચીત કરશે.આ બેઠકમાં મોદી રાજ્યોને જ આકરાં પગલાં લેવાની ભલામણ કરશે.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશભરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે.ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના 59 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.જયારે 257 લોકોનું કોરોનાથી મોત થયું છે.બીજી તરફ કોરોનાના 32 હજાર 987 કેસ રિકવર થયા છે.યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસની કુલ સંખ્યા 1 કરોડ 18 લાખ 46 હજાર 652 થઇ છે.હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 21 હજારથી વધુ છે તો કોરોનાથી કુલ મોતની સંખ્યા 1 લાખ 60 હજાર 949 પર પહોંચી છે.કોરોના વાયરસ સામે કુલ 5 કરોડ 55 લાખ 4 હજાર 440 લોકોને રસી આપવામાં આવી છે.

