પલસાણા : સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.એમ.ગઢવીની જિલ્લા પોલીસ વડાએ અંતે બદલી કરી છે.પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની થઈ રહેલી હેરાફેરી અને ધુળેટીના દિવસે વડદલા ગામમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ગુનો નહીં નોંધતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.જિલ્લામાં અન્ય બે પોલીસકર્મીઓની પણ બદલી કરવામાં આવી છે.
થોડા દિવસ અગાઉ પલસાણાના પાડા ફળિયામાં સ્થાનિકો દ્વારા દેશી દારૂ બંધ કરાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી.દેશી દારૂના વેપારના વિડીયો વાઇરલ થયા બાદ પણ પોલીસ ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ હતો.આ મામલે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પણ પલસાણા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.આ ઉપરાંત ધુળેટીના દિવસે વડદલા અને તાતી ઝગડાના યુવાનો મોટર સાયકલ ચલાવવા બાબતે સામસામે થઈ ગયા હતા અને પથ્થરો તેમજ લાકડા વડે એકબીજા પર હુમલો કર્યો હતો.જેમાં સાત જણા ઇજાગ્રસ્ત થયા હતા.આટલી ગંભીર છતાં પલસાણા પોલીસે આ મામલે ફરિયાદ કરવાનું ટાળી સમાધાન કરાવી દીધું હતું.
આ બંને મામલે પલસાણાના પી.એસ.આઈ સી.એમ.ગઢવી વિવાદોમાં આવ્યા હતા.જેને લઈને ગુરુવારે મોડી સાંજે તેમની બદલી કિમ પોલીસ મથકે કરવામાં આવી હતી.જ્યારે કિમ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.સી.સરવૈયાને પલસાણા ખાતે બદલી કરાય છે.આ ઉપરાંત કોસંબા પોલીસ મથકમાં ફરજ બજાવતા વી.આર.દેસાઈને એલ.સી.બી.માં ખસેડવામાં આવ્યા છે.