નવી દિલ્હી, તા. 13 એપ્રિલ : દેશ અત્યારે કોરોનાના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે.એક તરફ કોરોનાની બીજી લહેરે દેશમાં તાંડવ મચાવ્યું છે.તો બીજી તરફ કોરોનાને હરાવવા માટે દશમાં યુદ્ધના ધોરણે રસીકરણ થઇ રહ્યું છે.વર્તમાન સમયે ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન એમ બે કોરોના રસી છે.ગઇકાલે રશિયાની સ્પુતનિક વી રસીને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે.ત્યારે આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવી રહ્યા છે કે મોદી સરકાર વિદેશમાં મંજૂરી મળી છે તેવી તમામ વેક્સિનને ભારતમાં મંજરી આપશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેક્સિનનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકાર ઓગષ્ટ સુધીમાં અન્ય પાંચ કોરોના વેક્સિનને પણ ઇમરજન્સી વપરાશ માટેની મંજૂરી આપી શકે છે. જેમાં મોર્ડના,ફાઇઝર,જ્હોન્સન એન્ડ જ્હોન્સન જેવી વેક્સિનનો સમાવેશ થાય છે.આ સિવાય આ લિસ્ટમાં ભારતની જાયડસ કેડિલા,ભારત બાયોટેકની નાસલ સ્વદેશી વેક્સિન પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે ઘણા બધા રાજ્યો રસીની અછતની ફરિયાદ કરી રહ્યા છે.આ સિવાય દેશમાં તમામ લોકે રસી આપવાની માંગ થઇ રહી છે.ત્યારે જો આ તમામ રસીને મંજૂરી મળી ગઇ તો દેશમાં રસીની અછતનો પ્રશ્ન દૂર થશે.ઉપરાંત દેશના તમામ નાગરિકોને કોરોનાની રસી આપી શકાશે.આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીને મોદી સરકારે આ રસીની મંજૂરી આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રસીઓનો વિદેશમાં વપરાશ થઇ રહ્યો છે અને જેમને USFDA, EMA, UK MHRA, PMDA અને WHO જેવી સંસ્થાઓ દ્વારા મંજૂરી આપવામાં આવી છે,તેવ રસીને ભારતમાં ઉપયોગની મંજૂરી આપવામાં આવશે.પહેલા આ તમામ વેક્સિન અને તેની ટ્રાયલની માહિતિ મેળવાશે અને બાદમાં તેને મંજૂરી અપાશે.

