– બોટલ બદલાય નહીં એટલે પોસ્ટર લગાવ્યા : હિરા સોલંકી
– અમરેલીના રાજુલામાં પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીના સહયોગથી 25 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
અમરેલી : એક તરફ કોરોનાના કહેર સામે સમગ્ર દેશ લડી રહ્યો છે.ગુજરાતમાં મહાનગરોની સાથોસાથ નાનાં શહેરો અને ગામડાંમાંથી પણ ભયાવહ સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે કેટલાક રાજનેતાઓ ખાસ કરીને પ્રસિદ્ધિ ભૂખ્યા રાજકારણીઓએ કોરોના દર્દી માટે આપવામાં આવતા ઓક્સિજનના બોટલને પણ છોડી નથી.ઓક્સિજન બોટલ પર પોતાની તસવીરો છપાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે.અમરેલીના રાજુલામાં 25 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે,જેમાં આપવામાં આવેલા ઓક્સિજનના બોટલ પર હીરા સોલંકીના ફોટા લગાવવામાં આવ્યા છે.
એક દૈનિક ન્યૂઝપેપરના પ્રતિનિધિએ સસ્તી પ્રસિદ્ધિ મામલે સોલંકીનો સંપર્ક કર્યો હતો.જેમાં તેમણે જણાવ્યું હતું કે,આ પોસ્ટર મે નથી લગાડાવ્યા.મારા કાર્યકર્તાઓએ લગાવ્યા છે.હોસ્પિટલમાં બોટલોની જરૂર હોય છે તેવા સમયે અમારા બોટલ બદલાય નહીં એ માટે કાર્યકર્તાઓએ પોસ્ટર લગાવ્યા છે.
અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર અહીં માત્ર રાજુલા શહેરની સરકારી હોસ્પિટલમાં 50 બેડની કોવિડ હોસ્પિટલ ચાલી રહી છે.હવે કોરોના દર્દી વધી રહ્યા છે, હોસ્પિટલ ફુલ થઈ છે અને સંક્રમણ વધી રહ્યું છે.લોકો પરેશાન થઈ રહ્યા છે તેવા કપરા કાળમાં રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીના સહયોગથી તાત્કાલિક છતડિયા રોડ પર આવેલી ખાનગી શાળામાં કોવિડ સેન્ટર ઊભું કરાયું છે, જેમાં 25 બેડની સુવિધા ઊભી કરાઈ છે.બાપાસીતારામ સેવા સમિતિ,લાઈન રોયલ ક્લબ રાજુલા સહિત સંસ્થાઓ સેવા કરવા માટે જોડાઈ છે,જ્યારે રાજુલા હોસ્પિટલમાંથી કોરોના દર્દીને હોમ આઇસોલેશન કરશે અથવા હોસ્પિટલ તરફથી રિફર કરશે તેને અહીં બેડ મળશે, જેથી રાજુલા સરકારી હોસ્પિટલમાં ઇમર્જન્સી દર્દીઓનો સમાવેશ થઈ શકે એને લઇને આ પ્રકારનું આયોજન રાજકીય નેતા અને સંસ્થાઓ દ્વારા કરાઈ રહ્યું છે.
અહીં 2 ટાઈમ જમવાનું,એક ટાઈમ નાસ્તો અને ડોક્ટર વિઝિટ,ઓક્સિજન મળશે અને સતત અહીં યુવાનો પણ કોરોના દર્દીને મુશ્કેલી ન પડે એનું ધ્યાન રાખશે.આજથી આ કોવિડ બેડ સુવિધા ચાલુ કરી દેવાઈ છે,જેથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી દ્વારા 150 ઉપરાંતના ઓક્સિજનના બાટલાનો સ્ટોક કરી દેવાયો છે.
જે લોકોને ઈમર્જન્સી ઓક્સિજનની જરૂર પડશે તેવા લોકોને ઓક્સિજન આપવા માટેનો નિર્ણય લેવાયો છે.
બધા લોકો કોરોના દર્દીને જેટલી મદદ થાય એટલી કરો – હીરા સોલંકી
પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીને પૂછતાં કહ્યું હતું કે 25 બેડની કોવિડ સેન્ટર આજથી શરૂ કરી દેવાયું છે.હોસ્પિટલમાંથી જે દર્દીને રિફર કરાશે તેમનો અહીં સમાવેશ થશે. અમારા યુવાનોની ફોજ કામે લાગી છે.દર્દીઓને ભોજન સહિતની વ્યવસ્થા ઊભી કરી છે. ઓક્સિજનના બાટલા પણ આવી ગયા છે.ઇમર્જન્સી જરૂર પડશે તેવા દર્દીને ઓક્સિજન અપાશે.સેવા કરવાનો મોકો મળ્યો છે.ગામેગામના લોકો કોરોના દર્દીને મદદ કરવા જોડાય એવી મારી અપીલ છે.


