– દિલ્હીની બત્રા હોસ્પિટલને ટ્રક દ્વારા 500 કિગ્રા ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો જે એક કલાક ચાલશે
નવી દિલ્હી, તા. 24 : દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની પણ ભારે તંગી છે.દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 25 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.બત્રા અને સર ગંગારામ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની ભારે તંગી છે અને થોડા સમય સુધી ચાલે તેટલો જ ઓક્સિજન ઉપલબ્ધ છે.
જયપુર ગોલ્ડન હોસ્પિટલના એમડી ડોક્ટર ડીકે બલૂજાએ કરેલા દાવા પ્રમાણે ગઈકાલે સાંજે ઓક્સિજન પુરવઠાની તંગીના કારણે 20 અતિ ગંભીર દર્દીઓના મોત થયા હતા. બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનનું એક ટેન્કર પહોંચી ગયું છે.બત્રા હોસ્પિટલના એમડી ડોક્ટર એસસીએલ ગુપ્તાના કહેવા પ્રમાણે હોસ્પિટલને ટ્રક દ્વારા 500 કિગ્રા ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો છે જે ઓક્સિજન મળ્યા બાદના આગામી એક કલાક માટે પૂરતો છે. હોસ્પિટલમાં 260 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં આશરે 45 મિનિટ સુધી ચાલે એટલો ઓક્સિજન બચ્યો છે અને 215 દર્દીઓ દાખલ છે.હોસ્પિટલના એમડી ડોક્ટર ડીકે બલૂજાએ રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓ પાસેથી ઓક્સિજન સપ્લાયની માંગણી કરી છે.