નવી દિલ્હી, તા. 24 એપ્રિલ : દિલ્હીમાં સતત પાંચમા દિવસે પણ ઓક્સિજનની અછત વરતાઈ રહી છે.બીજી તરફ ઓક્સિજન સપ્લાયને લઈને દિલ્હી હાઈકોર્ટ લાલચોળ છે.હાઈકોર્ટે કદાચ અભૂતપૂર્વ કહી શકાય તેવી ટિપ્પણી કરી છે.હાઈકોર્ટે શનિવારે કહ્યુ હતુ કે, જો કેન્દ્ર,રાજ્ય કે સ્થાનિક તંત્રનો કોઈ અધિકારી ઓક્સિજન સપ્લાયમાં અડચણ ઉભી કરી હશે તો તેને અમે લટકાવી દઈશું.
દિલ્હીની એક હોસ્પિટલે ઓક્સિજન સપ્લાય માટે કરેલી પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.કોર્ટે દિલ્હી સરકારને કહ્યુ હતુ કે, અમને કહો કે કોણ ઓક્સિજનના સપ્લાયમાં વિઘ્ન ઉભુ કરી રહ્યુ છે…એ વ્યક્તિને અમે લટકાવી દઈશું.અમે કોઈને છોડવાના નથી.જો આવા કોઈ સ્થાનિક અધિકારીઓ હોય તો તે અંગે કેન્દ્રને પણ જાણ કરો.જેથી કેન્દ્ર તેની સામે કાર્યવાહી કરી શકે.
ઓક્સિજનના કારણે દિલ્હીમાં હાહાકાર મચી ગયેલો છે.ઓક્સિજનની અછતના કારણે શુક્રવારે સાંજે દિલ્હીની વધુ એક હોસ્પિટલના 25 દર્દીઓ મોતને ભેટયા છે.ઓક્સિજન સપ્લાયની અછત હજી પણ યથાવત છે અને સેંકડો દર્દીઓ પર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે.દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં જ 500 કરતા વધારે દર્દીઓ હાલમાં ઓક્સિજન સપોર્ટ પર છે.દિલ્હીની એક પછી એક હોસ્પિટલો ઓક્સિજન માટે સરકારની મદદ માંગી રહી છે.સરોજ હોસ્પિટલે નવા દર્દીઓ ભરતી બંધ કરી દીધી છે.કારણકે ઓક્સિજનની કમી છે.

