કોરોના મહામારીની બીજી લહેર હાલ ભારતમાં ઘાતક બની રહી છે અને ટપોટપ દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે.એક બાજુ,હોસ્પિટલોમાં બેડ નથી તો ઓક્સિજનના અભાવે દર્દીઓનાં મોત થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે તો બીજી તરફ સ્મશાનોમાં ચિતાની આગ શાંત નથી.એવામાં ભારતને મદદ માટે તેનું વર્ષો જૂનું મિત્ર રાષ્ટ્ર રશિયા આગળ આવ્યું છે અને મદદ મોકલવાનું શરૂ પણ કરી દીધું છે.
રશિયાએ 22 ટન આવશ્યક ઈક્વિપમેન્ટ્સ ભારત મોકલ્યાં
રશિયન ઈમર્જન્સી મિનિસ્ટ્રીએ 20 ઓક્સિજન પ્રોડક્શન યુનિટ્સ, 75 લંગ વેન્ટિલેટર્સ, 159 મેડિકલ મોનિટર્સ તથા દવાનાં 2 લાખ પેકેટ્સ સાથે જરૂરી 22 ટન આવશ્યક ઈક્વિપમેન્ટ્સ ભારતને મોકલી આપ્યાં છે.પીએમ મોદીએ આ અંગે રશિયલ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને તેમનો આભાર માન્યો હતો.આ દરમિયાન બંને નેતાઓએ કોરાનાવાયરસ વિરુદ્ધની રસી સ્પુતનિક Vના ભારતમાં રજિસ્ટ્રેશનના નિર્ણયને આવકાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા ભારતીય કંપનીઓ સાથે સ્પુતનિક V રસીના 850 મિલિયન (85 કરોડ) ડોઝનું ઉત્પાદન કરવા માટે કરાર કર્યો છે,જે અંગે બંને નેતાઓએ ટેલિફોનિક સંવાદ દરમિયાન સંતોષ વ્યક્ત કર્યો હતો. ખુદ સ્પુતનિક V બનાવતી કંપની ગેમેલેયા ઈન્સ્ટિટ્યૂટે આ અંગે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળાને પગલે ઊભી થયેલી અને સતત બદલાતી સ્થિતિ પર ચર્ચા કરી હતી.રાષ્ટ્રપતિ પુતિને ભારતના લોકો અને સરકારની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી અને ખાતરી આપી હતી કે રશિયા આ સંબંધમાં શક્ય તમામ સાથસહકાર આપશે.પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો તથા જણાવ્યું હતું કે રશિયાનો ત્વરિત ટેકો બંને દેશો વચ્ચેની કાયમી મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક છે.
બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય રોગચાળા સામે લડવા બંને દેશો વચ્ચે વર્તમાન સાથસહકારની નોંધ લીધી હતી.ભારતમાં સ્પુતનિક-વી રસીનો કટોકટીમાં ઉપયોગ કરવા માટે મંજૂરી આપવાનાં પગલાંની રાષ્ટ્રપતિ પુતિને પ્રશંસા કરી હતી.બંને નેતાઓએ સંમતિ આપી હતી કે રશિયાની રસીનું ઉત્પાદન ભારતમાં થશે,જેનો ઉપયોગ ભારત,રશિયા અને ત્રીજા દેશોમાં થશે.બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના વિશેષ મૈત્રીપૂર્ણ સંબંધોને વધારે ગાઢ બનાવવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સાથસહકારને મજબૂત કરવાના મહત્ત્વ પર પણ અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.

