અમદાવાદ, તા.૨૧: રાજયમાં કોરોનાના કેસોની સ્થિતિ વકરી જતા લગભગ ૪૦ દિવસ પહેલાં સરકારે આકરા નિર્ણયો લેતા દિવસે વેપારધંધાને નિયંત્રીત કરી અને ભીડને કાબૂમાં રાખવાનો વ્યૂહ ઘડ્યો હતો.જોકે, આ વ્યૂહ કારગર નિવડતો લાગ્યો. આખરે ૪૦ દિવસો પછી કોરોનાના કેસ પણ સતત દ્યટી રહ્યા છે અને સરકારે નિયંત્રણમાં મૂકેલા ૩૬ શહેરોની બજારોને આંશિક પરવાનગી સાથે આજથી બજારો ખોલવાની છૂટ આપવામાં આવી છે.આજથી રાજયના ૩૬ શહેરોમાં મોલ-મલ્ટીપ્લેકસ સિવાયની બજારો ખુલી છે.ખુલતી બજારો રોનક જોવા મળી રહી છ અને વેપારીઓ ખુશ છે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજયમાં છેલ્લા દ્યણા દિવસથી ચાલી રહેલા મિની લોકડાઉનમાં સરકારે રાહત આપવાનો નિર્ણય કર્યો છે.રાજયમાં આડથી આંશિક લોકડાઉન અમલી બનશે. જેમાં વેપારીઓ સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે.આ નિર્ણય ૨૭ મે સુધી અમલી રહેશે. જોકે ૩૬ શહેરોમાં રાત્રી કર્ફ્ય થથાવત્ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીપાવાવમાં આ જાહેરાત કરી હતી.આજથી રાજયમાં આંશિક લોકડાઉનમાં છૂટછાટ મળતા હવે પાનના ગલ્લા,ચાની કિટલી, મોબાઇલની દુકાનો, હોલસેલ માર્કેટ, હેર સલૂન,હાર્ડવેરની દુકાનો,ઇલેકટ્રોનિકસ અને ઇલેકિટ્રકલ્સની દુકાનો,રેડીમેડ કપડાની દુકાનો,વાસણની દુકાનો,પંચરની દુકાન,ગેરેજ ખુલ્લી રહેશે.તમામ દુકાનો ૬ કલાક જ ખુલ્લી રાખી શકાશે.બપોરે ૩ વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે.આ દરમિયાન સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.
આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજયમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્પા , બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે. દરમિયાન આંશિક લોકડાઉન સાથેની ખુલતી બજારોએ લોકો ધીરેધીરે વેપાર ધંધા ખોલી રહ્યા છે.
રાજયના આ શહેરોમાં લોકો આવશ્યક સેવાઓ સિવાય અન્ય વેપાર ધંધાનો લાભ લઈ ન શકયા હોવાથી પ્રથમ દિવસે સલૂન-બ્યૂટી પાર્લરમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો છે.લોકોએ એડવાન્સ બૂકિંગ પણ કરાવી લીધા હતા.શહેરોમાં સલૂન અને પાર્લરોને પણ બંધ રાખવામાં આવ્યા હોવાથી આજે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.