[weather_data]
Breaking News
TRENDING NEWS

મહેસાણા જિલ્લાના 241 NHM કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ

[updated_date] [post_views]

Table of Content

મહેસાણા : કોરોના મહામારીમાં સતત કામગીરી બજાવનારા નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓની પડતર માગણીઓનો કોઈ ઉકેલ ના આવતાં તેમણે આંદોલન છેડ્યું હતું અને બુધવારથી હડતાળ પર ઉતર જતાં મહેસાણા જિલ્લાના કુલ ૨૪૧ જેટલા કર્મચારીઓ વિરુદ્ધ મહામારી અધિનિયમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ વિવિધ પોલીસ મથકોએ ગુનો નોંધાતાં કર્મચારીઓમાં ભયનો માહોલ
સર્જાયો હતો.

નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ દ્વારા છ મહિના પહેલાં પ્રશ્નોની રજૂઆત કર્યા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો ત્યારે એક વર્ષથી કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ પરિવારની પરવા કર્યા વગર,જીવના જોખમે નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા હોવા છતાં અવગણના થતી હોવાની લાગણી સાથે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.જેથી બેઝીક પગારમાં રૂ.૨ હજારનો વધારો,ઈન્ક્રીમેન્ટ ૫ ટકાના બદલે ૧૦ ટકા આપવા સહિતની પડતર માગણીઓને લઈને NHMના કરાર આધારિત કર્મચારીઓએ ૧૨થી ૧૪ મે સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી,ત્યાર બાદ ત્રણ દિવસ પ્રતિક હડતાળ કરી હતી. તેમ છતાં તેમના પ્રશ્નોના ઉકેલ માટે કોઈ લેખિત બાંહેધરી ના અપાતાં રાજ્ય મંડળના આદેશ મુજબ મહેસાણા જિલ્લાના નેશનલ હેલ્થ મિશન (NHM)ના કરાર આધારિત કર્મચારીઓ બુધવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ બુધવારે મહેસાણા જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માગણીઓ દોહરાવી હતી.

દરમિયાન ઉચ્ચ કક્ષાએથી થયેલા આદેશો મુજબ મહેસાણા શહેર સહિત વિવિધ તાલુકા મથકોએ આરોગ્ય વિભાગના વહીવટી અધિકારીઓએ તેમના તાબા હેઠળની કચેરીઓના હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓ વિરુદ્ધ સંબંધિત પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાતાં જ કર્મચારીઓ ભયભીત થયા હતા અને પોતાની ફરજ પર હાજર થવા પણ દોડ્યા હતા,પણ તેમને ફરજ પર હાજર ન કરાયા હોવાનું જણાવા મળ્યું હતું.જો કે, આ મામલે કર્મચારીઓના મંડળના આગેવાનોએ રાજ્ય કક્ષાએ વાતાઘાટો કરીને ઉકેલ લાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

કોરોના, વાવાઝોડાને લઈને કરાયેલા હુકમનો ભંગ કરાયો

કોરોના મહામારી તેમજ વાવાઝોડાની બમણી કપરી પરિસ્થિતિમાં કોઈ કર્મચારીઓએ હડતાળ કે ફરજ ઉપરથી અળગા ન રહેવાનો હુકમ કરાયો હોવા છતાં આવા સંજોગોમાં હડતાળ પર ઉતરી હુકમનો ભંગ કરી જાહેર આરોગ્ય સેવાઓ ખોરવાય તેવી સીધી કે આડકતરી સામેલગીરીને લઈને કર્મચારીઓ વિરુદ્ધ એપેડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધાયો છે.

RBSK મેડિકલ ઓફિસર,આયુષ મેડિકલ ઓફિસર સહિત 241 વિરુદ્ધ ફરિયાદ કરાઈ

મહેસાણા જિલ્લા આરોગ્ય કચેરી, તાલુકા હેલ્થ ઓફિસો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટરો વગેરે જગ્યાએ નેશનલ હેલ્થ મિશન હેઠળ કરારથી ફરજ બજાવતા આરબીએસકે મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, એકાઉન્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર, સોશિયલ વર્કર, કાઉન્સેલર વગેરે કુલ ૨૪૧ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles