એલોપેથી વિરુદ્ધ બોલ્યા બાદ યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે, તેમ છતા તેઓ હજુ પણ અલગ-અલગ નિવેદન આપીને પોતાને સાચા સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.હવે તેમણે ફિલ્મ અભિનેતા આમિર ખાનનો એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે જો તમારી હિમ્મત હોય તો તેમને ટક્કર આપો.વીડિયોમાં આમિર તેના શો સત્યમેવ જયતેમાં દવાનાં ભાવ અંગે ચર્ચા કરી રહ્યો છે.
યોગગુરુ રામદેવે શનિવારે બોલિવૂડ અભિનેતા આમિર ખાનનાં ટેલિવિઝન શો ‘સત્યમેવ જયતે’નો એક જૂનો વીડિયો ટ્વીટ કરીને પૂછ્યું હતું કે, ‘મેડિકલ માફિયા’માં બોલિવૂડ અભિનેતા સામે ટક્કર લેવાની હિંમત છે કે નહીં.જણાવી દઇએ કે,વીડિયોમાં,આમિર ખાન ડો. સમિત શર્મા સાથે વાત કરતા જોઇ શકાય છે,જે જેનરિક દવા અને બ્રાન્ડેડ દવા વચ્ચેનાં ભાવનાં તફાવતને સમજાવી રહ્યા છે.અહીં,ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) પછી હવે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (એફઆઈએમએ) એ પણ રામદેવને કાનૂની નોટિસ મોકલી છે.એફઆઇએમએએ કહ્યું કે, બાબા રામદેવે સસ્તી પ્રસિદ્ધિ માટે એલોપથી વિશે પાયાવિહોણા દાવા કર્યા છે,જેની તેઓ નિંદા કરે છે.વળી એફઆઈએમએ એ રામદેવને પુરાવા આપવા અથવા તેમના દાવા પાછળ માફી માંગવા જણાવ્યું હતું.તેમ ન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.એફઆઇએમએ એ રામદેવને આરોગ્ય કર્મચારીઓ સાથે એકતા બતાવતા અને દેશભરનાં રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (આરડીએ) ની વતી કાનૂની નોટિસ આપી છે.
આ બધા પછી પણ બાબા રામદેવે ફરી એકવાર એલોપથીની સિસ્ટમ વિરુદ્ધ નિવેદન આપ્યુ છે.તેમણે કહ્યું કે, તમે ઈમરજન્સી દવા અને ઓપરેશન તમે કરી લો. હું પણ આ બધું જાણું છું, ગેરસમજમાં જીવો નહીં.જો સરકાર આયુર્વેદને સર્જરી માટે પરવાનગી આપે છે,તો તેનાથી તેમના પેટમાં દુખાવો થઇ જાય છે.જે કોઈને પણ સર્જરી આવડે છે તે કરી શકે છે.બાબા રામદેવે આગ્રહ રાખ્યો કે સર્જરી એ વિજ્ઞાન નહીં પણ કૌશલ્ય છે. ઝાબ્રેડામાં એક અભણ એક મિનિટમાં સર્જરી કરે છે અને શરીરનાં કોઈપણ ભાગમાંથી ગાંઠ કાઢી નાખે છે અને દર્દી પણ સ્વસ્થ રહે છે.એક દિવસ હું તેને કેમ્પમાં લાવીને તેની લાઇવ સર્જરી બતાવીશ.બાબા રામદેવે કહ્યું કે,દેશનું શિક્ષણ પણ બદલવું પડશે.

