ગઢડા સ્વામિનારાયણ મંદિર અવાર નવાર કોઇને કોઇ વાતને લઇને વિવાદમાં આવે છે.સામાન્ય રીતે ગામ,શહેર રાજ્ય કે પછી દેશની સત્તાને લઈને ચૂંટણીઓ થતી હોય છે અને ચૂંટણીમાં રાજકીય પાર્ટીના આગેવાનો અને નેતાઓ એક બીજા નેતાઓ પર આકરા પ્રહારો કરતા હોય છે.પરંતુ હવે રાજનીતિની જેમ ધાર્મિક સ્થાનો પર પણ સત્તા માટે ચૂંટણી થઈ રહી છે અને ચૂંટણીને લઈને જ ગઢડા ગોપીનાથજી મંદિર અવાર નવાર વિવાદોમાં આવી રહ્યું છે કારણ કે, મંદિરની સત્તા આચાર્ય પક્ષ કે, પછી દેવ પક્ષને મળશે તેને લઈને મંદિરના સંતો વચ્ચે અવાર નવાર કોઈને કોઈ વાતને લઈને વિવાદો થતાં હોય છે.ત્યારે ફરીથી ગઢડાનું ગોપીનાથજી મંદિર વિવાદમાં આવ્યું છે અને આ મંદિરનું રાજકારણ ગરમાયું છે.ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.ગઢડા ગોપીનાથજી મંદિરના SP સ્વામી અને ઘનશ્યામ વલ્લભદાસ સ્વામીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 6 જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે.જેથી હવે આ બંને સંતો બોટાદ,ભાવનગર,અમરેલી,રાજકોટ,સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં અને જો આ હુકમનો ભંગ કરીને SP સ્વામી કે પછી ઘનશ્યામ વલ્લભદાસ સ્વામી કોઈ જિલ્લામાં પ્રવેશ કરશે તો તેમની સામે કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.
સાથે જ આ ચુકાદામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો તડીપારના હુકમ સામે કોઈ વાંધો રજૂ કરવાનો હોય તો 31 મેથી 30 દિવસ સુધીમાં રાજ્ય સરકારમાં આ બાબતે SP સ્વામી અને ઘનશ્યામ વલ્લભદાસ સ્વામી અપીલ કરી શકે છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન SP સ્વામીને કલેકટર દ્વારા એક નોટિસ આપવામાં આવી હતી અને તેમને છ જિલ્લામાંથી તડીપાર શા માટે ન કરવામાં આવે તે બાબતે જવાબ માંગવામાં આવ્યા હતા.વર્ષ 2007માં રોડ વિવાદનો ઉલ્લેખ પણ આ નોટિસમાં કરવામાં આવ્યો હતો.આ સાથે જ લોકડાઉનમાં જાહેરનામા ભંગનાનો પણ ઉલ્લેખ નોટિસમાં કરાયો હતો. મહત્ત્વની વાત છે કે, ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટમાં છેલ્લા ઘણા સમયથી ઇલેક્શન બાદ અવાર નવાર વિવાદો સામે આવે છે. તો ક્યારેક મંદિરની અંદર આ વિવાદને લઈને પોલીસને પણ ધક્કા ખાવા પડે છે.એવું કહેવામાં આવે છે કે, સાધુ સંતો સાંસારિક તમામ મોહ માયાથી દૂર રહે છે અને તેમને મોહમાયા પ્રત્યે કોઈ લગાવ હોતો નથી પરંતુ ગઢડા ગોપીનાથજી મંદિરમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે કારણ કે, મંદિરની સત્તાને લઈને બે પક્ષના સાધુ સામસામે આવી ગયા છે.