વડગામ : વડગામ તાલુકા ભલગામ સહિત કેટલાય ગામોના કૌંભોડીઓને તપાસ અધિકારીઓનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.સાથે જ મનરેગા શાખાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને બચાવવા માટે ચાલુ તપાસે જિલ્લા પંચાયતના કેટલાક અધિકારીઓ દ્વારા તલાટીની બદલી કરી દેવામાં આવી છે.જેને લઇ અરજદાર દ્વારા પણ તપાસ અધિકારીઓ દ્વારા ભીનું સંકેલવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.ત્યારે આ ગંભીર બાબતે ડીડીઓ દ્વારા તલાટીને ન્યાય મળે તેવી માંગ કરાઇ છે.
વડગામ તાલુકાના ભલગામ સહિત વણસોલ,નાવિસણા,નવો વાસ,કરનાળા,વરસડા,વેસા,સીસરાણા,શેરપુરા સેભર,ચોંગા,ધોતા,જૂની સેધની,નવી સેધની,કોદ્રાલી સહિત તાલુકાના ઘણા ગામોમાં તાલુકા પંચાયતના મનરેગા શાખાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા મળીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.દરમિયાન ભલગામ ગામની તપાસમાં કૌભોંડીને ત્રણ ત્રણ નોટિસ આપવા કોઈ જવાબ ન અપાતાં ભલગામ ગામના જાગૃત નાગરિક અમરત ભાઈ રાઠોડ દ્વારા 6 નવેમ્બર 2020ના રોજ મનરેગામાં ખોટા જોબ કાર્ડ બનાવી મૃત્યુ પામેલા અને નોકરી કરતા લોકોના નામે પૈસા ઉઘરાયા હોવાની લેખિત રજૂઆત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ડીડીઓને લેખિત રજૂઆત કરી હતી.ત્યારબાદ ત્રણ ત્રણ નોટિસો આપ્યા પછી અરજદારને અંધારામાં રાખી તપાસ શરૂ કરાઇ હતી.જે તપાસ સહિત અગાઉ પણ જે તાલુકાના વિવિધ ગામોની તપાસ કરાઇ હતી તેમાં પણ ભીનું સંકેલવામાં આવી રહ્યું હોય તેવા અરજદારો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ત્યારે ભલગામમાં તપાસ અધિકારીઓએ મનરેગા શાખાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ તપાસ કરી પગલાં ભરવાની જગ્યાએ મહિલા તલાટીની બદલી કરી સંતોષ માની લીધો હોવાનું અરજદાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.અરજદારે જણાવ્યું હતું કે ડીડીઓ દ્વારા ભલગામ ગામના જે નિર્દોષ તલાટીની તપાસ દરમિયાન કૌભાંડને દબાવવા માટે જે જવાબદાર અધિકારીઓ દ્વારા જે બદલી કરવામાં આવી છે.તેમાં યોગ્ય તપાસ કરીને અમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.
આ અંગે વડગામ ટીડીઓ કે.કે.ચૌધરી એ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત દ્વારા આ તપાસ અંગેનો રિપોર્ટ કરી ડાયરેકટરને સોંપી દીધો છે.અને રિકવરી માટે પણ લખી દીધું છે.અને આજે ભલગામ મહિલા તલાટી ની બદલી થઇ અંગે મને કોઈ જાણ નથી ઉપરથી બદલી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
અગાઉ પણ કેટલીયે તપાસોની ફાઈલો માળીએ
વડગામ તાલુકામાં મનરેગા યોજનામાં અગાઉ પણ અધિકારીઓ અને કોન્ટ્રાકટર દ્વારા તાલુકાના કેટલાય ગામોમાં તપાસ ચાલુ હતી.પણ તપાસ કરનાર અધિકારીઓએ આ તપાસમાં ભીનું સંકેલી મોટા પાયે ગેરરીતિ આચરી છે.અને આ ફાઈલો માળીએ ચડાવી દીધી છે.ત્યારે ડીડીઓ દ્વારા પણ જો તપાસ કરવામાં આવે કેટલાય અધિકારીઓના પગ તળે રેલો આવે તો નવાઈ ની વાત નથી.