– ભાજપના ચોક્કસ ગ્રૂપ દ્વારા કેજરીવાલના કાર્યક્રમો અને કાર્યકરો પર વોચ રખાશે,કમલમમાં બેસીને પણ નેતાઓ નજર રાખશે
ગુજરાતમાં AAPના નેતા કેજરીવાલના આગમન સાથે જ ભાજપના નેતાઓ દોડતા થઈ ગયા છે,એટલું જ નહીં કેજરીવાલની ગતિવિધિઓ પર નજર રાખવા સરકારના આઈ.બી.થી માંડીને પક્ષના સમર્થકો અને અમદાવાદના સ્થાનિક કેટલાક નેતાઓને કામે લગાડી દીધા હોવાનું જાણવા મળ્યું છે.કેજરીવાલની રાજકીય રમતનું ધ્યાન રાખવા કમલમમાં પણ ચોક્કસ નેતાઓને બેસાડી દેવામાં આવ્યા છે.ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે આપને અવગણતાં આપની ધમાકેદાર એન્ટ્રી સ્થાનિક સ્વરાજ્યમાં થઈ ગઈ હતી અને ધીમે ધીમે ભાજપ સામે સીધી લડાઈ શરૂ કરતાં ભાજપના નેતાઓ ટેન્શનમાં આવી ગયા હતા,તેમાં પણ ભાજપના સ્થાનિક આગેવાનો અલગ અલગ જિલ્લામાંથી ભાજપ છોડી આપમાં જોડાઈ રહ્યા છે,અને આપ
નું વર્ચસ્વ વધવા લાગ્યું છે.
કેજરીવાલના કાર્યક્રમ પર ભાજપની આડકતરી નજર
આ જ સમયે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની આજની ગુજરાત એન્ટ્રીથી ભાજપને ફાળ પેસી ગઈ છે,જેથી ભાજપે કેજરીવાલ અને તેમની ટીમ પર તથા કેજરીવાલના આજના કાર્યક્રમ પર સીધી કે આડકતરી રીતે ધ્યાન રાખી રહ્યા છે.અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે.આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે.તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન પણ આપશે.કેજરીવાલની આ ગુજરાતની મુલાકાતને પણ સૂચક માનવામાં આવી રહી છે.
ભાજપના પ્રદેશ પ્રભારીએ પણ પૂછ્યું આપની સ્થિતિ શું છે?
તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત આગામી દિવસોમાં મોટી રાજકીય હલચલ થઇ રહી હોવાના સંકેત આપી રહી છે.સૂત્રો મુજબ જે અનુભવી નેતાઓ સાથે પ્રભારી ભૂપેન્દ્ર યાદવે બેઠક કરી હતી તેમને તેમણે સ્પષ્ટ પૂછયું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પર્ફોમન્સ, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું કાર્ય કરવાની શૈલી,ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રદેશ નેતૃત્વ કેવું? પ્રભારીએ ત્યાં સુધી પૂછ્યું હતું કે,આપની ગુજરાતમાં અત્યારની સ્થિતિ અને આગળ શું થઇ શકે.ભાજપના પ્રદેશ પ્રભારીએ પ્રથમ વખત ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાબતે કદાચ પૂછ્યું હશે.સામાન્યરીતે અત્યાર સુધી આપ બાબતે ભાજપ સજાગ હતો. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દેખાવથી ચિંતા અનુભવે છે તેવું ગણી શકાય.


