– કોન્ફરન્સ સ્થળે પત્રકારો,કેમેરામેન,નેતાઓ સહિતના લોકોના બુટ,ચંપલ બહાર કઢાવાયા
– વલ્લભસદન બહાર આઈ-કાર્ડ વિના પહોંચેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પ્રવેશ ન મળ્યો.
અમદાવાદ : આશ્રમ રોડ પર આવેલા વલ્લભ સદન હવેલી મંદિરમાં અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે.કોન્ફરન્સને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.પ્રેસ કોન્ફરન્સ મંદિરમાં હોવાથી તમામ પત્રકારો,કેમેરામેન,આમ આદમી પાર્ટીના નેતાઓ,કાર્યકર્તાઓ સહિતના હાજર લોકો બુટ,ચંપલ બહાર કાઢીને આવ્યા હતા.પરંતુ બી ડિવિઝન એ.સી.પી એલ.બી ઝાલા અને ગુજરાત યુનિવર્સિટી પી.આઇ વી.જે જાડેજા અને ગનમેન મંદિરમાં પ્રેસ કોન્ફરન્સ હોલમાં બુટ પહેરીને આવ્યા હતા.મંદિરમાં બુટ ચંપલ પહેરીને પ્રવેશની મનાઈ હોય છે.પોલીસ બંદોબસ્તમાં હાજર અન્ય અધિકારીઓ પણ બહાર બુટ કાઢીને આવ્યા હતા.
આઈ-કાર્ડ વિનાના કાર્યકર્તાઓને પ્રવેશ ન અપાયો
ત્યારે શું ખરેખર મંદિર હોલમાં હોવાના કારણે બૂટ-ચંપલ બહાર ઉતરાવ્યા હતા કે પછી આ પાછળ અન્ય કોઈ કારણ હતું? અરવિંદ કેજરીવાલ પર આ પહેલા ઘણીવાર શાહી ફેંકવાની,મરચાની ભૂકી ફેંકવાની તથા જૂતા ફેંકવાની ઘટના બની ચૂકી છે. એવામાં પ્રેસ કોન્ફરન્સમાં આ પ્રકારની અન્ય કોઈ ઘટના ન બને તે માટે પણ આ નિર્ણય લેવાયો હોઈ શકે છે.બીજી તરફ વલ્લભ સદન મંદિરમાં સામાન્ય માણસોનો પ્રવેશ અટકાવી દેવાયો હતો.માત્ર આઇકાર્ડ હોય તેમને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.આપના કાર્યકર્તાઓને પણ બહાર રોકી દેવામાં આવ્યા હતા.
કેજરીવાલ પર ક્યારે ક્યારે હુમલો થયો?
2016માં રાજસ્થાનના બીકાનેરમાં અરવિંદ કેજરીવાલ પર શાહી ફેંકવામાં આવી હતી.રાજસ્થાનના બીકાનેરમાં અરવિંદ કેજરીવાલ પર શાહી ફેંકવામાં આવી હતી.શાહી ફેંકનારા એબીવીપીના નેતાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.જ્યારે દિલ્લીના સ્વાસ્થમંત્રી સત્યેંદ્ર જૈન પર જૂતી ફેંકવામાં આવી છે.2016માં કેજરીવાલ જ્યારે ઓડ અને ઈવન પદ્ધતિના બીજા ફેઝની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે એક યુવકે પ્રેસ કોન્ફરન્સમાં જૂતું ફેક્યું હતું.
2018માં કેજરીવાલ પર મરચાંની ભૂકી નાખી હતી અને ધક્કામુકીમાં ચશ્મા તૂટી ગયા હતા. અરવિંદ કેજરીવાલ દિલ્હી સચિવાલયમાં તેમની ઓફિસ તરફ જઈ રહ્યાં હતાં.તેમની ચેમ્બર બહાર એક યુવક ઉભો હતો.તે માચિસમાં મરચાનો પાવડર ભરીને લાવ્યો હતો.કેજરીવાલ નજીક આવતાની સાથે જ યુવકે માચીસમાં રહેલી મરચાની ભૂકી કેજરીવાલના ચહેરા તરફ ફેંકી હતી.જે કેજરીવાલની આંખમાં પડી હતી.2019માં અરવિંદ કેજરીવાલ લોકસભાની ચૂંટણી માટે દિલ્હીમાં રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક તેમના વાહન પર ચઢી ગયો હતો અને કેજરીવાલના ચહેરા પર લાફો મારી દીધો હતો.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ગૃહમંત્રી પર જૂતું ફેંકી ચૂક્યા
2017માં પ્રથમ પોતાને પોલીસ કોન્સ્ટેબલ બતાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પોતાનો ઓડિયો વાયરલ કરી ગોપાલ ઈટાલિયાએ વિવાદ સર્જ્યો હતો.ત્યારબાદ વિધાનસભા ગૃહમાં મીડિયાને સંબોધી રહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકીને વિવાદ સર્જ્યો હતો.
‘જૂતું ફેંકવું એ મારા ક્ષણિક આક્રોશનું પરિણામ હતું’
થોડા મહિના અગાઉ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું, મારી આ ઓળખ મીડિયાએ ઊભી કરેલી છે.જૂતું ફેંકવું એ મારા ક્ષણિક આક્રોશનું પરિણામ હતું અને એ ઘટનામાંથી જ હું સમજ્યો છું કે કંઈક પરિવર્તન કરવું હશે,કશોક બદલાવ લાવવો હશે તો મારે હકારાત્મક રીતે ઉકેલ આપવો પડશે.મારે કહેવું જોઈએ કે, મીડિયા ભલે મને જૂતું ફેંકનારાની ઓળખ આપે,પરંતુ લોકોમાં મારી ઓળખ કાયદાકથા કરનારા ગોપાલ ઈટાલિયાની છે અને મારા માટે એ વધુ મહત્વનું છે.


