– ફક્ત 50 ખલાસીઓ સાથે પણ રથયાત્રા કાઢવી જોઈએ, ભજન મંડળી કે ટ્રક નહીં હોય તો પણ ચાલશે
અમદાવાદ : રથયાત્રા નીકાળવા મુદ્દે રાજ્ય સરકાર હજુ નિર્ણય કરી શકતી નથી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ રથયાત્રા કાઢવા મુદ્દે કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે.વીએચપીના અશોક રાવલે કહ્યું છે કે, સરકાર રથયાત્રા નહીં કાઢે તો વીએચપીને રથયાત્રા કાઢતા કોઈ રોકી શકશે નહીં.બુધવારે મેયર,ડેપ્યુટિ મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેરના પ્રમુખ પાલડી સ્થિત વણિકર ભવન ખાતે વીએચપીના કાર્યકર્તાઓને મળ્યા હતા.મુલાકાત દરમિયાન રથયાત્રા અને શહેરમાં અશાંતધારાનો અમલ નહીં થતો હોવાનો મુદ્દો ઉઠ્યો હતો.
અશોક રાવલે ઉમેર્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો વીએચપી કાર્યાલય ઉપર મુલાકાતે આવ્યા હતા.તેમને સમજાવ્યું હતું કે, શહેરમાં કોઈપણ સંજોગોમાં નિયમો સાથે પણ રથયાત્રા નીકળવી જોઈએ.લોકોની ભીડ અટકાવવાની જરૂર લાગે તો કર્ફ્યૂ નાખવામાં આવે પણ ફકત 50 ખલાસીઓ સાથે રથયાત્રા નીકળે,
રથયાત્રામાં હાથી-ઘોડા,ભજન મંડળી કે,ટ્રક નહીં હોય તો ચાલશે,પણ ભગવાનની રથયાત્રા નીકળવી જ જોઈએ.જો સરકાર રથયાત્રા ના નીકાળી શકતી હોય તો વીએચપી રથયાત્રા નીકાળવાની જવાબદારી સ્વીકારવા તૈયાર છે.
બુધવારની બેઠકમાં વર્ષા ફ્લેટનો મુદ્દો પણ ચર્ચાયો હતો.એ મુદ્દે કોર્પોરેશના હોદ્દેદારોએ ત્વરિત ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું હતું.પરિષદના જણાવ્યા મુજબ વર્ષા ફ્લેટ જેવી શહેરમાં બીજી પણ ઘણી સાઈટો છે જ્યાં અશાંતધારાનો અમલ થઈ રહ્યો નથી.શહેરમાં વિધર્મીઓને રહેવા માટે મકાનો આપવામાં આવી રહ્યાં છે.કેટલીક જગ્યાઓ ઉપર વિધર્મીઓ કબજો પણ કરી રહ્યાં છે ત્યારે સરકાર અને પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી છે.


