જેટ એરવેઝના પૂર્વ સીઈઓ નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘર પર EDએ મની લોન્ડરિંગના એક કેસ મામલે દરોડા પાડયા છે, આ અગાઉ બુધવારે ઈડીએ નરેશ ગોયલને સમન પાઠવ્યું હતું
મુંબઈ, તા.૫: જેટ એરવેઝના પૂર્વ સીઈઓ નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘર પર EDએ મની લોન્ડરિંગના એક કેસ મામલે દરોડા પાડ્યા છે. આ અગાઉ બુધવારે ઈડીએ નરેશ ગોયલને સમન પાઠવ્યું હતું. ગોયલ પર આરોપ છે કે તેઓ પરોક્ષ રીતે વિદેશમાં અનેક કંપનીઓ પર નિયંત્રણ રાખતા હતાં. જેમાંથી કેટલીક ટેકસ હેવન દેશોમાં છે. પ્રાથમિક તપાસમાં અકિલા એ વાત પણ સામે આવી હતી કે નરેશ ગોયલે ટેકસ બચાવવા માટે ઘરેલુ અને વિદેશી કંપનીઓ વચ્ચે અનેક સંદિગ્ધ લેવડદેવડ કરી અને નાણું દેશ બહાર મોકલ્યું. ગત વર્ષ ઓગસ્ટમાં ઈડીએ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના ઘરની તલાશી લીધી તી જેમાંથી તેમની ૧૯ કંપનીઓના વિવરણ મળ્યા છે. જેમાંથી ૫ કંપનીઓ વિદેશમાં છે. જેનાથી જાણવા મળ્યું છે કે સંદિગ્ધ લેવડદેવડ દ્વારા નાણાને વિદેશ મોકલી ગબન કરવામાં આવ્યું. ઈડીએ દિલ્હી અને મુંબઈમાં ૧૨ સ્થળો પર તલાશી લીધી હતી. જેમાં જેટ અધિકારીઓના પરિસર પણ સામેલ હતાં. ગોયલ અને તેમના લાંબા સમય સુધી સાથી રહેલા હસમુખ ગાર્દીના ઘર ઉપર દરોડા પાડવામાં આવ્યાં. અધિકારીઓનું કહેવું હતું કે તલાશી દરમિયાન વિદેશી કંપનીઓને કરાયેલી ચૂકવણીના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કરાયા છે. અધિકારીએ જણાવ્યું હતું કે એજન્સી જેટ એરવેઝ અને ગોયલ વિરુદ્ઘ વિવિધ સૂત્રો પાસેથી મળેલી ફરિયાદોના આધારે ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ (ફેમા)ના કથિત ભંગની તપાસ થઈ રહી છે.