– ભાજપના વિરોધમાં બેનર પણ લાગ્યાં હોવાના કિસ્સાઓ સામે આવ્યા
સુરત : સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાને લઈને લોકો પોતાનો રોષ અલગ અલગ રીતે વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે.છેલ્લા એક સપ્તાહમાં વોર્ડ નંબર 30, જેમાં કનસાડ,સચિન જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશોને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાને કારણે તેઓ આમઆદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે.વિવિધ સોસાયટીઓના અંદાજે 800 કરતાં વધારે લોકો ‘આપ’માં જોડાયા છે.
વોર્ડ નંબર 30ની સુડા સેક્ટર- 1, રામેશ્વર, સ્વસ્તિક રેસિડેન્સી, શિલાલેખ જે વિવિધ સોસાયટીઓના પ્રમુખો અને રહીશો આમઆદમી પાર્ટીનો સંપર્ક કરીને એનો ખેસ ધારણ કરી રહ્યા છે.સુડા સેક્ટર -1માં 150 યુવાનો અને મહિલાઓ આપમાં જોડાયાં છે. છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં ભાજપના વિરોધમાં બેનર પણ લાગ્યાં હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા.ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા યોગ્ય રીતે આપવામાં આવતી નથી.અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેઓ પ્રજાલક્ષી કામ કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે,જેને લઇને રહીશોમાં ભારતીય જનતા પાર્ટીની કામગીરીથી રોષ ભભૂકી રહ્યો છે અને તેની સામે વિકાસ તરીકે આમઆદમી પાર્ટીમાં જવાનું તેઓ પસંદ કરી રહ્યા છે.
સ્થાનિક રહીશ કેતન સુરતીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણીની સુવિધા નથી.પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.રોડ-રસ્તાઓ સારા નથી,મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.આ અંગે અમે સ્થાનિક કોર્પોરેટરને પણ વારંવાર રજૂઆત કરીએ છીએ, પરંતુ અમારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં જાણે તેમને કોઈ રસ ન હોય એ રીતે દેખાઈ રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં અમારા વિસ્તારમાંથી અલગ અલગ સોસાયટીઓના લોકો આમઆદમી પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે.અમને આશા છે કે આપ પાર્ટીના નેતાઓ અમારા પ્રશ્નનો ઉકેલ લાવી શકશે.