આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને રાજકારણનું તાપમાન ઊંચું છે.થોડાક દિવસ પહેલા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચેલેન્જ કરી હતી,પરંતુ હવે ઓવૈસીએ પોતાની વાતથી ફેરવી તોળ્યું છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ‘યોગી આદિત્યનાથને વ્યક્તિગત રીતે ચેલેન્જ આપવાની વાત નથી,પરંતુ વાત રાજકીય વિરોધની છે.અમે જો વિરોધમાં છીએ તો અમે એ તો કહીશું કે અમે સરકાર નહીં બનવા દઇએ.’
તેમણે કહ્યું કે, ‘ગઠબંધનને લઇને ભાગેદારી મોરચામાં છે અને ઓમપ્રકાશ રાજભર તમામ દળોને પોતાની સાથે જોડી રહ્યા છે.’ સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષના આરોપો પર અસદુદ્દીન ઓવૈસી કહ્યું કે, ‘અમે સાથે લડીશું, તમને કેમ લાગે છે કે અમે BJPની B ટીમ છીએ? તમે તમામ લોકો એક સાથે ચશ્માથી જૂઓ છો. આ વાત બીજા દળો પર તો લાગુ નથી થતી શું?’ થોડાક દિવસ પહેલા અસદુદ્દીન ઓવૈસી કહ્યું હતું કે, તેઓ કોઈપણ રીતે યોગી આદિત્યનાથને 2022માં થનારી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નહીં બનવા દે.
ઓવૈસીના પડકાર પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ‘ઓવૈસી મોટા નેતા છે, તેઓ દેશની અંદર પ્રચાર કરે છે. તેમને એક વિશેષ સમુદાયનું સમર્થન પ્રાપ્ત છે,પરંતુ તેઓ યુપીમાં બીજેપીને ચેલેન્જ ના કરી શકે.બીજેપી પોતાના મુદ્દાઓ, મૂલ્યોની સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. અમે તેમની ચેલેન્જને સ્વીકારીએ છીએ.’ સીએમ યોગીએ કહ્યું હતું કે, ‘તેમણે (ઓવૈસી) કહ્યું કે અમે નહીં આવવા દઇએ તો બીજેપી એ વાત કહેશે કે પાર્ટી 2022માં આવીને જ રહેશે અને બીજેપીની સરકાર બનશે. ઓવૈસીની પોતાની પાર્ટી છે અને તેઓ પોતાના મુદ્દાઓ પર ચૂંટણી લડશે,જ્યારે અમે અમારા મુદ્દાઓ પર ચૂંટણી લડીશું.’
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઇને ઓવૈસીએ જાણકારી આપી હતી કે તેમની પાર્ટી 100 સીટો પર ઉમેદવાર ઉતારશે.આ માટે પાર્ટીએ ઉમેદવારોની પંસદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.’