– સુરતમાં નાના વરાછાના શખ્સ સાથે જમીન આપવાના બહાને છેતરપીંડી કરી : પૈસા પરત મંગાતા ઠગાઈ કરનારે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
સુરત : મહિધરપુરામાં રહેતા ગાંધી પરિવારે મૂળ ગારીયાધારના વતની અને નાના વરાછાના બિલ્ડરને જમીન આપવાના બહાને 2.74 કરોડ રૂપિયા પડાવી ઠગાઈ કરી હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કતારગામ વિસ્તારમાં રેવન્યુ સર્વે નં- 352 પૈકી ટીપી સ્ક્રીમ નં-4 (અશ્વનીકુમાર નવાગામ)ના ફાઈનલ પ્લોટ નં-34 વાળી જમીન ગાંધી પરિવાર દ્વારા બિલ્ડરને બતાવી ઠગાઈ કરાઈ હોવાનું સામે આવ્યું છે.આ જમીનના બદલામાં બાનાપેટ સહિત ટુકડે ટુકડે કરી રૂપિયા 2.74 કરોડ પડાવી લીધા બાદ જમીન ક્લીયર ન કરાવી કે રજીસ્ટર સાટાખત બનાવી ન આપતા આખો મામલો બહાર આવ્યો છે. પૈસા પરત માંગતા બિલ્ડર સામે ગાંધી પરિવારે ખોટા આક્ષેપો કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા બિલ્ડરે ન્યાય માટે પોલીસ સ્ટેશનના ફરિયાદ કરી છે.
પ્રકાશભાઈ મગનભાઈ ભંડેરી ₹ઉ.વ. 37, વતન -ગારીયાધાર, હાલમાં નાના વરાછા ચીકુવાડી વિસ્તાર સ્નેહમિલન સોસાયટી)એ પોલીસને જણાવ્યું હતું કે૯ તેઓ હિરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વરાછા ગાયત્રી ખમણની ગલીમાં મૈત્રી બિલ્ડિંગમાં ઓફિસ ધરાવે છે. પ્રકાશભાઈએ ગત 16 ડિસેમ્બર 2019માં કતારગામ રેવન્યુ સર્વ નં-352 પૈકી ટીપી સ્કીમ નં 4 (અશ્વનીકુમાર નવાગામ)ના ફાઈનલ પ્લોટ નં 34, કુલ્લે 6994 ચો.મી જમીનનો રમેશચંદ્ર ઈશ્વરલાલ ગાંધી,ગીતાબેન રમેશચંદ્ર ગાંધી,જયેશચંદ્ર રમેશચંદ્ર ગાંધી અને દિપાલીબેન રમેશચંદ્ર ગાંધી (રહે, લીંબુશેરી મહિધરપુરા) પાસેથી ખરીદી હતી. અને તેનો ગત તા 26 ફેબ્રુઆરી 2020 માં સાટાખત પણ બનાવ્યા હતા.સાટાખત મુજબ પ્રકાશભાઈએ ટોકનના રૂપિયા 11 લાખ સહિત ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા 2,74,65,000 ચૂકવી આપ્યા હતા.અને સાટાખતની શરતો પ્રમાણે બાકીની રકમ ચૂકવી આપવા તૈયાર હતા.
દરમિયાનમાં ગાંધી પરિવારે જમીનના ટાઈટલ ક્લીયર કે બોજા દુર કર્યો ન હતો કે કોઈ કાર્યવાહી પણ કરી ન હતી.અને પૈસા પોતાના અંગત કામોમાં વાપરી નાંખી રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.ત્યારબાદ આરોપીઓ ગોળગોળ જવાબો આપતા આખરે પ્રકાશભાઈએ જમીનમાં રોકેલા પોતાના પૈસાની માંગણી કરતા.પૈસા નહી ચુકવી ઉપરથી ખોટા ખોટા આક્ષેપો કરી સમાજમાં બદનામ કરવાના કારસો રચ્યો હતો. બનાવ અંગે પ્રકાશભાઈની ફરિયાદ લઈ વરાછા પોલીસે ગાંધી પરિવાર સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.


