નોએડા : જમ્મુ-કાશ્મીરમાં રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ન્યૂ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ 2021 અંતર્ગત એકમોના રજિસ્ટ્રેશન માટેનું વેબ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે બોલતાં ગૃહમંત્રી અમિત શાહે ઉદ્યોગ જગતના અગ્રણીઓને જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરી આ કેન્દ્ર શાસિત પ્રદેશના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી.તેમણે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આજે વિકાસના નવા યુગનો પ્રારંભ થયો છે અને તે વિકાસ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યું છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ પોર્ટલથી જમ્મુ-કાશ્મીરમાં રૂ. 50,000 કરોડથી પણ વધુનું રોકાણ આવશે, જે તેના સર્વસમાવેશક અને સર્વસ્પર્શી વિકાસને આગળ ધપાવશે.સરકાર જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 અને 35 એ રદ્દ કરતી વખતે જમ્મુ-કાશ્મીરમાં રોજગાર અને શાંતિના નવા યુગનું વચન આપ્યું હતું,જેને પૂર્ણ કરવામાં આ એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે.આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી મંત્રી પીયૂષ ગોયલ તથા સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.શાહે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી અહીંના યુવાનોને રોજગારી માટે સરકારી એકમો પર જ નિર્ભર રહેવું પડતું હતું.જેમાં સૌથી મોટો અવરોધ કલમ 370 અને 35 એ હતી. જેને રદ્દ કર્યા બાદ એક મુક્ત માહોલ સર્જાતા જમ્મુ-કાશ્મીરમાં રોજગારી અને વિકાસની અઢળક શક્યતાઓ ઉભી થઈ છે.