મહેસાણા પાલિકાના 52 લાખના વ્યાજ સાથે 62 લાખ થયાનું અનુમાન
રિઝર્વ બેન્ક દ્વારા યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરાતાં થાપણદારો, ખાતાધારકોમાં દોડધામ મચી ગઈ છે તેવામાં મહેસાણા નગરપાલિકાના પણ રૂપિયા ૬૨ લાખ યસ બેન્કમાં સલવાયા હોવાનું જાણવા મળતાં ખળભળાટ મચી ગયો છે. પાલિકાના આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સેવિંગ્સ ખાતામાં મૂકેલાં રૂપિયા 52 લાખના વ્યાજ સાથે હાલમાં રૂપિયા ૬૨ લાખ થયા છે. પરંતુ બેન્ક ફડચામાં જતાં આ નાણાં પરત મળશે કે કેમ તેમજ સરકારી સંસ્થાઓના
નાણાં રાષ્ટ્રીયકૃત બેન્કમાં મૂકવાની ગાઈડલાઈન હોવા છતાં પ્રાઈવેટ બેન્કમાં રોકાણ કરવા અંગે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ફડચામાં ગયેલી યસ બેન્કનાં ખાતાધારકોને હવે માત્ર ૫૦ હજાર રૂપિયા મેળવીને સંતોષ માનવો પડશે ત્યારે મહેસાણા નગરપાલિકાએ પણ યસ બેન્કમાં રૂપિયા ૬૨ લાખ ગુમાવવાનો વારો આવે તેમ છે. પાલિકાના આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે યસ બેન્કમાં પાલિકાના રૂપિયા ૬૨ લાખ ફસાયા હોવાનું જાણવા મળ્યુ છે. યસ બેન્કના સેવિંગ્સ ખાતામાં મૂકેલાં રૂપિયા ૫૦ થી ૫૨ લાખનાં વ્યાજ સાથે હાલમાં ૬૨ લાખ થયા છે.
પરંતુ યસ બેન્ક ફડચામાં જતાં આ નાણાં પરત મળવા અંગે સવાલો ઉભા થયા છે. યસ બેન્કમાં ફસાયેલાં રૂપિયા ૬૨ લાખ પરત મેળવવા માટે પાલિકા દ્વારા ૬૨ લાખ ટ્રાન્સફર અન્ય બેન્કમાં કરવા શુક્રવારે અરજી આપ્યાનું જાણવા મળ્યુ છે. જો કે બેન્ક ફડચામાં ગયેલી હોવાથી નાણાં ટ્રાન્સફર થવા અંગે આશંકા સેવાઈ રહી છે. અર્ધ સરકારી સંસ્થાઓએ માત્ર રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જ નાણાં રાખવાની સરકારની ગાઈડલાઈન હોવા છતાં પ્રાઈવેટ બેન્કમાં નાણાં રોકવામાં આવતાં ક્યાં અધિકારી અને પદાધિકારીના સમયગાળામાં આ નાણાંનું રોકાણ કરાયુ છે તેની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી વિપક્ષના આગેવાનોએ માંગ કરી છે.
ટ્રાન્સફર થઈ શકે તેવી કોઈ જોગવાઈ નથી
પાલિકાના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે યસ બેન્કમાં પાલિકાના નાણાં અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરવા અરજી શુક્રવારે કરાઈ હતી. પરંતુ નાણાં અન્ય બેન્કમાં ટ્રાન્સફર થવાની કોઈ જોગવાઈ નથી. ત્યારે કેન્દ્ર સરકાર જ્યાં સુધી કોઈ રાહત જાહેર કરે નહી ત્યાં સુધી નાણાં પરત મળવાની શક્યતા ઓછી છે. જ્યારે અર્ધ સરકારી સંસ્થાઓએ પ્રાઈવેટ બેન્કમાં રોકાણ કરવું હોય તો નાણા અથવા શહેરી વિકાસ વિભાગની પરવાનગી લેવાની હોય છે. તેવામાં મહેસાણા પાલિકાના અધિકારી કે પદાધિકારી દ્વારા યસ બેન્કમાં નાણા રોકતાં અગાઉ પરવાનગી લીધી છે કે કેમ તે અંગે તપાસ કરાય તે જરૂરી છે.
સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ : કૌશિક વ્યાસ
આ મામલે ભાજપનાં કોર્પોરેટર કૌશિક વ્યાસે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને નાણાં વિભાગ દ્વારા અર્ધ સરકારી સંસ્થાઓને પ્રાઈવેટ બેન્કોનાં બદલે રાષ્ટ્રીયકૃત બેન્કમાં રોકાણ કરવાનો પરિપત્ર કરાયો હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરીને પ્રાઈવેટ બેન્કમાં પાલિકાના નાણાં રોકીને ગેરરીતિ કરનાર જવાબદાર અધિકારી અને પદાધિકારી સામે તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ.
યસ બેન્કમાં રૂપિયા કેટલા છે તેની જાણ નથી
યસ બેન્કમાં ફસાયેલાં નાણાં અંગે ચીફ ઓફિસર જીગર પટેલને પૂછતાં તેમણે જણાવ્યુ હતું કે યસ બેન્કમાં પાલિકાના પૈસા પડ્યા છે. પરંતુ કેટલાં છે તેની મને જાણ નથી.