ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી.ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે.હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે,તેના પર સૌની નજર મંડાયેલી છે.આ દરમિયાન રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે.રૂપાલાએ રૂપાણીના રાજીનામા બાદ તેમણે કહ્યું કે, નવા મુખ્યમંત્રી અંગે આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડી જશે.તે સિવાય તેમણે કશું કહેવાનું ટાળ્યું હતું.
કોણ બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી
ગુજરાતના નવા મુખ્યમંત્રી બનવાની રેસમાં મનસુખ માંડવિયા,ગોરધન ઝડફીયા,પુરષોત્તમ રૂપાલા,સી.આર.પાટીલ નામ હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.જાણીતા દૈનિક અકિલાના તંત્રી કિરીટ ગણાત્રાના કહેવા મુજબ, પાટીદાર ચહેરો જ મુખ્યમંત્રી બની શકે છે.ગોરધનભાઈ ઝડફિયા મુખ્યમંત્રી બની શકે છે.
રાજીનામા બાદ શું કહ્યું રૂપાણીએ
રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરીષદમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું.મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી.ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ.હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું.તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે.તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.
ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંંત્રીની ગુજરાત મુલાકાત
ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે.કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી.બી.એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત આવ્યા છે.