ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીઓ જ્યારે શપથ લઇ રહ્યા હતા ત્યારે સ્ટેજ પર એક એવી વ્યક્તિ બેઠી હતી જે ભાજપનું ગુજરાતમાં જ્યારથી શાસન શરૂ થયું ત્યારથી જ મંત્રી રહ્યા છે.ઇતિહાસમાં પહેલીવાર તેઓ સ્ટેજ પર તો હતા પરંતુ તેમણે શપથ લેવાની ન હતી.
મુખ્યમંત્રી બનવામાં તો નીતિનભાઇ પટેલનું નસીબ ચોથી વાર પણ જોર કરી શક્યું ન હતું પરંતુ હવે તો તેમણે ઉપમુખ્યમંત્રીનું પદ પણ ગુમાવવું પડ્યું છે.હવે તેમનું રાજકીય ભવિષ્ય શું તેની ઉપર પ્રશ્નાર્થ છે કારણ કે તેમને જો રાજ્યપાલ બનાવી તે કોઇ જગ્યાએ મોકલાય તો પણ આટલા સક્રિય રાજકારણીને તે ફાવે તેવું માની શકાય તેમ નથી.આમ તો તેઓ હાલ જ બોલ્યા હતા કે મને કોઇ હટાવી શકે તેમ નથી કારણ કે હું લોકોના દિલોમાં રાજ કરૂ છું. નીતિન ભાઇ પટેલ જ કદાચ ગુજરાતમાં એકમાત્ર એવા નેતા છે જે ભારતીય જનતા પાર્ટી પાવરમાં આવી ત્યારથી સતત કેબિનેટ મંત્રી રહ્યા છે.પરંતુ તેમને મુખ્યમંત્રીનું પદ ક્યારેય ન મળ્યું.ચારવાર જાણે તેમના હાથમાંથી સીએમની ગાદી સરકી ગઇ.
નીતિનભાઇની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર તેમનો જન્મ 22 જૂન 1956 ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે થયો હતો.તેઓનો ઉછેર તેમના દાદાના સમયથી ગર્ભશ્રીમંત એવા પરિવારમાં થયેલ.અભ્યાસકાળ પૂર્ણ થતા તેઓ તેમના કૌટુંબિક વ્યવસાયમાં સામેલ થઇ તેને આગળ વધાર્યો.નીતિનભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દી ની શરૂઆત સને 1977માં કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે કરી હતી. 1990માં તેઓશ્રી પ્રથમ વખત ગુજરાત વિધાનસભા તરીકે ચૂંટાયા હતા.માત્ર 5 જ વર્ષમાં તેમને મંત્રીપદ મળી ગયું.વર્ષ 1995માં તેમણે પ્રથમ વખત આરોગ્ય વિભાગના કેબીનેટ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.વર્ષ 1999માં તેમણે માર્ગ અને મકાન વિભાગ,નાની અને મધ્યમ સિંચાઈ વિભાગના કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા.ત્યારપછી 2001માં નાણાં વિભાગના કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા. 2002ની ચૂંટણી પછી તેઓ મહેસૂલ વિભાગના કેબીનેટ મંત્રી બન્યા.વર્ષ 2007ની ચૂંટણી પછી તેમને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ,પાણી પુરવઠા,સિંચાઈ વિભાગના કેબીનેટ મંત્રીની પોસ્ટ આપવામાં આવી.ત્યારપછી વર્ષ 2012ની ચૂટણીમાં જીત થયા બાદ નાણાં,આરોગ્ય,તબીબી શિક્ષણ,સામાજીક કલ્યાણ અને વાહનવ્યવહાર વિભાગનાં કેબીનેટ મંત્રી બન્યા.વર્ષ 2014માં ફેરબદલ વખતે તેમને આરોગ્ય,તબીબી શિક્ષણ,સામાજીક કલ્યાણ,માર્ગ અને મકાન વિભાગ,પાટનગર યોજના,વાહનવ્યવહાર ખાતા અપાયા.ત્યારપછી તેમને વર્ષ 2016 અને વર્ષ 2018માં નાયબ મુખ્યપ્રધાનનું પદ આપવામાં આવ્યું.આમ નીતિનભાઇ પટેલ જ કદાચ એકમાત્ર એવા ધરખમ નેતા છે કે જેઓ કેશુભાઇ પટેલની સરકાર હોય કે પછી નરેન્દ્રભાઇ મોદીની સરકાર કે પછી આનંદીબેન અને વિજયભાઇ રૂપાણી તેઓ સતત કેબિનેટ મંત્રી બનતા રહ્યા છે.પહેલીવાર તેઓ કોઇ કેબિનેટમાં નહીં હોય.
જ્યારે નરેન્દ્ર મોદી વર્ષ 2014માં ગુજરાત છોડીને ગયા ત્યારપછી સીએમ નીતિનભાઇ બનશે તેવું બધાને લાગતું હતું.ત્યારપછી આનંદીબેનને પાટીદાર આંદોલન પછી દૂર કરાયા ત્યારે પણ નીતિનભાઇ જ સીએમ બનશે તેવું કહેવાતું.બે વાર તો તે ન બની શક્યા પરંતુ ત્રીજીવાર જ્યારે વર્ષ 2017ની ચૂંટણી જીતાઇ ત્યારપછી તો સંભાવના વધુ બળવત્તર બની હતી કારણ કે પાટીદાર આંદોલન છતાં જીત મેળવી હતી.મહેસાણાથી પાટીદાર આંદોલન ઉભુ થયા પછી તેમને ચેલેન્જ આપવામાં આવી કે તેઓ કડીથી જીતી બતાવે.વર્ષ 2017ની ચૂંટણીમાં તેમની સામે 33 ઉમેદવારો ઊભા કરવા છતાં તેઓ સારા માર્જિનથી જીતી ગયા.પંરતુ ત્યારે પણ ભાગ્યએ સાથ ન આપ્યો.પાટીદાર સમાજે તો ખુલ્લેઆમ કહી દીધું હતું કે સીએમ પાદીદાર બનવો જોઇએ. હાલમાં નીતિન પટેલ કરતા વધુ અનુભવી પાટીદાર તો ભાજપમાં કોઇ નથી…
તેમણે રવિવારે સવારે જ પોતાના ઘર બહારથી પત્રકારો સાથે વાત કરી હતી.તેઓ એકમાત્ર એવા નેતા હતા જેમનું નામ સીએમ માટે ચાલતું હોય અને જાહેરમાં વાત કરી હોય.તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં એવા નેતાને સીએમ બનાવવા જોઇએ જેમને આખા ગુજરાતમાં લોકોનું સમર્થન હોય.જે મજબૂત હોય અને પાર્ટી તથા સરકારમાં બધાને સાથે લઇને ચાલી શકે. પંરતુ તેમનું કંઇ ન ચાલ્યું.હવે તેમને કેબિનેટમાંથી પણ હાથ ધોવો પડ્યો છે.પાટીદાર સમાજ આ નિર્ણયને કેવી રીતે લેશે તે હવે જોવાનું રહ્યું.