– આ યોજના 1.08 લાખ પંચાયત વોર્ડ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ હતો અને તે 95 ટકા કવર થઈ ગયો હોવાનો દાવો કરવામાં આવે છે
નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર : કોઈ પણ સરકારની મહત્વાકાંક્ષી યોજનાથી જનતાને કેટલો ફાયદો થયો તે જોવામાં આવે છે. પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘હર ઘર નલ કા જલ’ સ્કીમના કારણે જરૂરિયાતમંદોની સાથે સાથે નેતાઓના સંબંધીઓેને પણ ફાયદો થયો છે.આ સ્કીમના કારણે જરૂરિયાતમંદોને ટાંકીનું પાણી તો મળ્યું જ પરંતુ સાથે જ તેના દ્વારા બિહારના નાયબ મુખ્યમંત્રી તારકિશોરના પરિવાર, સહયોગીઓને પણ 53 કરોડના કોન્ટ્રાક્ટ મળ્યા.
નેતાઓના સંબંધીઓને આ પ્રકારે રાજકીય સંરક્ષણ મળે તે નીતિશ કુમારના ગુડ ગવર્નંસના દાવા પર પણ પાણી ફેરવી દે છે.કોન્ટ્રાક્ટ દ્વારા ફાયદો મેળવનારાઓની યાદીમાં સૌથી પહેલું નામ ભાજપ ધારાસભ્ય દળના નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદનું આવે છે.તે સિવાય યાદીમાં પ્રદેશના જેડીયુ અને ભાજપના કેટલાક નેતાઓના નામ પણ સામેલ છે.આશરે 5 વર્ષ પહેલા શરૂ થયેલી આ યોજનાને અત્યાર સુધી ખૂબ જ સફળ ગણાવવામાં આવી હતી. તેને 1.08 લાખ પંચાયત વોર્ડ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ હતો અને તે 95 ટકા કવર થઈ ગયો હોવાનો દાવો કરવામાં આવે છે.
આ યોજના સાથે સંકળાયેલા 20 જિલ્લાઓના દસ્તાવેજ જોવામાં આવ્યા હતા.તેને રજિસ્ટ્રાર ઓફ કંપની (RoC) અને બિહાર પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ (PHED)ના રેકોર્ડ સાથે મેળવવામાં આવ્યા હતા.આ સ્કીમ લાગુ કરવાની જવાબદારી PHED પાસે હતી. પંચાયતી રાજ અને શહેરી વિકાસ વિભાગે તેનો સાથ આપવાનો હતો.
PHEDએ કટિહાર જિલ્લાની 9 પંચાયતોના અલગ અલગ વોર્ડમાં સ્કીમના 36 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.નાયબ મુખ્યમંત્રી કટિહાર ખાતેથી જ 4 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે.આ પ્રોજેક્ટ જે કંપનીઓને આપવામાં આવ્યા તેમાં તેમના દીકરાની વહુ પૂજા અને 2 સાળા જોડાયેલા છે. આ ઉપરાંત કેટલીક કંપનીઓ તેમના નજીકના ગણાતા પ્રશાંત ચંદ્ર જાયસવાલ વગેરે સાથે સંબંધીત છે.ખાસ કરીને પૂજા કુમારીની કંપનીને કોન્ટ્રાક્ટ મળવાનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે, તેમની કંપનીઓને આ ફીલ્ડના કામનો કોઈ જ અનુભવ નહોતો.જ્યારે નાયબ મુખ્યમંત્રીને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ મુદ્દે કોઈ પણ પ્રકારનું રાજકીય સંરક્ષણ ન આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.તેમના કહેવા પ્રમાણે કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે તેઓ કટિહારના સાંસદ હતા અને બાદમાં નવેમ્બર 2020માં નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.તેમના કહેવા પ્રમાણે કંપનીઓ સાથે તેમને સીધી રીતે કોઈ જ લિંક નથી.સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, કટિહારમાં કુલ 2800 યુનિટ છે જેમાંથી મારા પરિવારના સદસ્યોને માત્ર 4 મળ્યા છે. બિઝનેસ કરવામાં કશું ખોટું નથી.

