ગાંધીનગરમા મળી આવેલ બાળક સાથે જે થયુ તેવુ ભગવાન કોઈની સાથે ન કરે.દોઢ વર્ષનું માસુમ બાળક મળી આવ્યાના 14 કલાકથી વધુ સમય વીતી ગયા છતા હજી સુધી તેના પરિવારની કોઈ માહિતી મળી નથી.ત્યારે આ ચિંતાજનક બાબત છે કે, આખરે આ બાળકનો પરિવાર કોણ છે અને તેમની સાથે શુ થયું છે.આખરે કેમ બાળકનો પરિવાર તેને શોધવા માટે સામે નથી આવી રહ્યો.આ માસુમ પણ રડમસ ચહેરે જનેતાની રાહ જોઈ રહ્યો છે.ભારતમાં બાળકીઓ ત્યજી દેવાના અનેક કિસ્સાઓ છાશવારે થતા રહે છે,પરંતુ હવે તો બાળકોને પણ ત્યજી દેવાના કિસ્સા બની રહ્યાં છે.આવામાં હવે ગુજરાત સરકાર તરફથી જ બાળકના માવતરને ઝડપથી શોધવા આદેશ અપાયા છે.બાળકનું અપડેટ મેળવવા ખુદ ગૃહરાજ્ય મંત્રી મોડી રાત સુધી જાગ્યા હતા.
બાળકને મળવા જશે ગૃહરાજ્ય મંત્રી
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી બાળકના કિસ્સા મામલે ગંભીર બન્યા છે.તેમણે આજના કાર્યક્રમોને સ્થગિત કરીને બાળકના માવતરને શોધવાની બાબતને પ્રાયોરિટી આપી છે.તેઓ આજે સિવિલ હોસ્પિટલમાં રહેલા બાળકની મુલાકાત લેશે.તેમજ બાળકના તમામ અપડેટ આપવા માટે જિલ્લા પોલીસ તંત્રને આદેશ કર્યો છે.તો ગાંધીનગરથી છૂટેલા આદેશ બાદ બાળકના વાલીનું પગેરું મેળવવા માટે પોલીસ પણ દોડતી થઈ છે.ગાંધીનગર પોલીસે પેથાપુરની ગૌશાળામાં પૂછપરછ શરૂ કરી છે.ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસની ભાગદોડ સંભાળી રહી છે.
100 પોલીસ કર્મી બાળકના વાલીને શોધવામાં લાગ્યા
100 થી વધુ પોલીસ કર્મીઓ બાળકના પરિવારજનને શોધવામાં કામે લાગી. તો 7 જેટલી મહિલા પોલીસની ટીમને પણ કામમાં સામેલ કરાઈ છે.બાળકના વાલીને શોધવા માટે 70 થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.તો સાથે જ સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ જાણ કરાઈ છે.ઓવર ઓલ ઇન્ડિયના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ ટેલિફોનિક જાણ કરાઈ છે,જેથી વહેલામાં વહેલી તકે બાળકના વાલીવારસ સુધી પહોંચી શકાય.
ગૃહરાજ્યમંત્રીએ તાકીદે પગલાં ભરવા આદેશ કર્યા
બાળકના માતા-પિતાની શોધખોળ પોલીસે તેજ કરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષદ સંધવીએ તાકીદે પગલાં ભરવા આદેશ કર્યા છે.જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ બાળકને કોણ મૂકી ગયું કયા વાહન પર આવ્યા હતા તે તમામ ટેકનોલોજીના આધારે શોધખોળ ચાલી રહી હોવાનો દાવો કર્યો છે.સાથે જ મીડિયા દ્વારા વ્યાપક પ્રસિદ્ધિ થાય તેવી પણ અપીલ કરી છે.જરૂર પડે બાળક મૂકી ગયા છે તે સમયગાળાના મોબાઇલ નેટવર્કના આધારે પણ પોલીસ તપાસ કરશે.
વિનંતી છે કે માતાપિતા બાળકને લઈ જાય – મહિલા આયોગ
મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરપર્સન જાગૃતિ પંડ્યાએ આ મુદ્દે કહ્યું કે, આવા માસુમ બાળકોને મૂકી જવાનો કિસ્સો ચિંતાનો વિષય છે. બાળકને સિવિલ હોસ્પિટલ બાદ નિયમ મુજબ ઓઢવ શિશુ ગૃહમાં રાખવામાં આવશે.મહિલા આયોગ તરફથી તપાસના આદેશ આપ્યા છે.ત્યજી દેનારા પરિવારને બાળક કોઈ પણ કારણસર મૂકી ગયું હોય તો પરિવાર પરત લઈ જાય. કાયદો કાયદાનું કામ કરશે પરંતુ બાળક પોતાના પરિવાર પાસે જાય તેવી આશા રાખું છુ.જો કોઈ વાલી વારસદાર નહીં હોય તો બાળકને દત્તક લેવાની પ્રક્રિયા હાથ ધરીશું. ત્યજી દેનારા પરિવારને વિનંતી છે બાળક લઈ જાય.પોલીસ પણ તપાસ કરી રહી છે. કિસ્સો બન્યો છે તે સમાજ માટે શરમજનક બાબત છે.