સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેંશન હોલ સામે સોમવારે સાંજે 7 વાગે ગરબા ચાલી રહ્યા હતા.તે દરમિયાન સુરત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગરબા બંધ કરાવ્યા હતા.ગરબા બંધ કરાવતા પોલીસ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે રકઝક થઇ હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા દાદાગીરી અને ગુંડાગર્દી કરવામાં આવી હોવાનો એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
એબીવીપીના પ્રદેશ મંત્રી હિમાલય સિંહ ઝાલા અને યૂનિવર્સિટીના કેમ્પસ મંત્રી ઇશાન મટ્ટૂ સહિત પાંચ વિદ્યાર્થીઓને ઉપાડી ગઇ અને લોકઅપમાં નાખી દીધા.તેને લઇને જોરદાર હંગામો થયો.એબીવીપીએ આરોપ લગાવ્યો કે યૂનિવર્સિટી કેમ્પસ પોલીસે યૂનિવર્સિટી કેમ્પસ પોલીસ સ્ટેશનમાં પણ વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરી હતી. એબીવીપીએ જણાવ્યું કે પોલીસની મારઝૂડથી ઘણા વિદ્યાર્થીઓના કપડાં ફાટી ગયા હતા અને હિમાલય સિંહ ઝાલાને ઇજા પહોંચી હતી. પ્રદેશ સંગઠન મંત્રી સાથે કેટલાક વિદ્યાર્થીઓને લોહી નિકળી રહ્યું હતું.
જેથી એબીપીવી દ્વારા ગઇકાલે પોલીસ સ્ટેશન બહાર સખત વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામાં આવ્યા હતા.અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનની ચિમકી ઉચ્ચારી હતી. જેને પગલે સુરત સહિત પાલનપુર અને હિંમતનગરમાં કલેક્ટરને આવેદન પત્ર આપી સુરતમાં પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
એબીવીપીના વિદ્યાર્થીઓ આજે ક્લેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.વિદ્યાર્થી સંગઠન દ્વારા નારેબાજી કરવામાં આવી હતી.આ સાથે જ ક્લેકટરને પણ સમગ્ર ઘટનાથી વાકેફ કરીને પોલીસ અધિકારીઓ દ્વારા ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવી તેમની સામે પગલાં લેવા માગ કરાઈ હતી.પોલીસકર્મી દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે એવી માગણી તેમણે કરી છે.
પોલીસની દાદાગીરી સામે વિદ્યાર્થીઓનો આક્રોશ જોવા મળ્યો હતો.
જવાબદાર પોલીસ કર્મચારીઓને વહેલી તકે સસ્પેન્ડ કરવાની માગ સાથે વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીના ગેટ સામેના રોડને બ્લોક કરી દઈને ચક્કાજામ કરવામાં આવ્યો હતો,જેથી રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.