મુંબઈ,તા.21 ઓકટોબર : આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ એનસીપીના આગેવાન તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે એનસીબીના અધિકારી સમીર વાનખેડે સામે નિવેદનો આપવાનુ શરૂ કર્યુ છે.તેમણે સમીર વાનખેડે પર વધુ એક આરોપ લગાવ્યો છે અને પૂછ્યુ છે કે, કોરોનાકાળમાં તે અને તેમનો પરિવાર માલદીવમાં હતો કે કેમ? તે માલદીવ કે દુબઈ ગયા હતા? જો ગયા હોય તો તેની પૂરી જાણકારી આપે.
નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે, વાનખેડેએ તમામ વસૂલી માલદીવ અને દુબઈમાં કરી છે.કારણકે કોરોનાકાળમાં આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ બે જગ્યાએ હતી. સાથે સાથે તેમણે વાનખેડેની બહેન જાસ્મીન વાનખેડેની તસવીરો પણ જાહેર કરી છે.જે માલદીવની છે. આ તસવીરો જાસ્મીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અભિનેત સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલીવૂડમાં ડ્રગ્સ મામલાની તપાસ શરૂ થઈ હતી.નવાબ મલિકના જમાઈ સમીર ખાનની પણ ડ્રગ્સ મામલામાં એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.સમીર મલિકને તાજેતરમાં જ જામીન મળ્યા છે.નવાબ મલિક આર્યન ખાનના કેસમાં શરૂઆતથી આરોપ લગાવી રહ્યા છે.તેમનુ કહેવુ છે કે, ક્રુઝ પર પાડવામાં આવેલી રેડ જ બોગસ હતી.

