– દિવાળીની રજા માણી સુરત પરત ફરનારા લોકોનું 7 પ્રવેશદ્વાર પર કોરોના ટેસ્ટિંગ
સુરત : સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. જોકે, કેસ 10ની નીચે રહેતા થોડી રાહત છે.છેલ્લા ચાર દિવસમાં શહેર જિલ્લામાં 15 કેસનો વધારો થયો છે.દરમિયાન આજથી સુરત પરત ફરતા લોકોનું 7 સ્થળો (પ્રવેશદ્વાર) પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.આ સાથે કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે.આજે 138 સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
શહેરમાં 04 અને જિલ્લામાં 01 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 05 કેસ પોઝિટિવ નોંધાયા હતા.આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143938 થઈ ગઈ છે.જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે.આજે શહેરમાંથી 07 અને જિલ્લામાંથી 02 સહિત 09 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141772 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 56 થઈ છે. તમામ લોકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા નોક ટુ ડોર અભિયાન હાથ ધરાયું છે.
દિવાળીમાં બહારગામ ગયેલાં શહેરીજનોએ લાભ પાંચમ પહેલાની પુર્વ સંધ્યાથી પરત ફરવાનું શરૂ કર્યું છે.તે જોતા પાલિકાએ રેલવે સ્ટેશન, બસ ડેપો તથા એરપોર્ટ ઉપરાંત શહેરનાં 5 પ્રવેશ દ્વારો પર લોકોને ટ્રેસ કરી કોરોના ટેસ્ટિંગની કવાયત જડબેસલાક બનાવી છે.પાલિકાએ શહેરના પ્રવેશદ્વાર જહાંગીરપુરા,વાલક,પલસાણા અને કડોદરા ચેક પોસ્ટ પર ધનવંતરી તથા મોબાઇલ ટેસ્ટિંગ બસને સ્ટેન્ડબાય રાખી કામગીરી શરૂ કરી છે.
બહારગામથી સુરત પરત ફરતા લોકોના પ્રવેશદ્વાર પર જ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.આ સાથે લોકોને વેક્સિન મૂકાવી છે કે કેમ તે અંગેની ખાતરી કરવા વેક્સિનેશન સર્ટિફિકેટની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.જ્યારે 72 કલાક પહેલાં કરવામાં આવેલ RT-PCR રિપોર્ટ પણ પરત ફરતા મુસાફરો પાસેથી લેવામાં આવી રહ્યા છે.સુરતમાં કોરોનાના સંક્રમણને અટકાવવા પાલિકા દ્વારા ખાસ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
રસીકરણ કામગીરી ફરી તેજ કરાઈ
તહેવારો પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે.શહેરમાં પ્રથમ ડોઝ માટે 31 સેન્ટર પર જ જ્યારે 78 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે.જ્યારે 10 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે.જ્યારે 17 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે.આજે 138 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.


