– 8 ઓક્ટોબર, 2017ના રોજ એક દરોડા દરમિયાન 14 કરોડ 56 લાખની નકલી નોટો પકડાઈ અને ફડણવીસે તે કેસ રફેદફે કરાવેલોઃ મલિક
નવી દિલ્હી, તા. 10 નવેમ્બર : ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈ મહારાષ્ટ્રમાં ગરમાયેલું રાજકારણ શાંત પડવાનું નામ જ નથી લઈ રહ્યું.નવાબ મલિકે બુધવારે દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.નવાબ મલિકે કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસના ‘આશીર્વાદ’થી મહારાષ્ટ્રમાં વસૂલી અને નકલી નોટોનો કારોબાર ચાલી રહ્યો હતો.નવાબ મલિકે સમીર વાનખેડેનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે જણાવ્યું કે, પૂર્વ સીએમ અધિકારી (વાનખેડે)ને બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે, તે તેમનો નજીકનો માણસ છે.
મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું કે, દેવેન્દ્રએ મુખ્યમંત્રી તરીકે અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા લોકો,ક્રીમિનલ લોકોને સરકારી કમિશન,બોર્ડમાં જગ્યા આપી.મલિકે કહ્યું કે, મુન્ના યાદવ નામનો વ્યક્તિ જે નાગપુરનો ગુંડો છે, જેના પર હત્યાથી લઈને તમામ પ્રકારના કેસ નોંધાયેલા છે.તેને તમે કંસ્ટ્રક્શન બોર્ડનો અધ્યક્ષ બનાવ્યો હતો.
વધુમાં મલિકે કહ્યું કે, હૈદર આઝમ નામના નેતાને ફડણવીસે ફાઈનાન્સ કોર્પોરેશનનો અધ્યક્ષ બનાવ્યો હતો.જ્યારે તે બાંગ્લાદેશના લોકોને મુંબઈમાં વસાવવાનું કામ કરે છે.તેની બીજી પત્ની બાંગ્લાદેશી છે જેની માલડ પોલીસ તપાસ કરી રહી હતી.એવું કહેવાય છે કે, જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી તે સમયે મુખ્યમંત્રી ઓફિસથી ફોન આવેલો અને ત્યાર બાદ કેસ દબાવી દેવામાં આવેલો.
નવાબ મલિકે આરોપ લગાવ્યો કે, દેવેન્દ્રના ઈશારે મહારાષ્ટ્રમાં વસૂલીનું કામ થઈ રહ્યું હતું.પછી તે મામલો બિલ્ડર્સનો હોય કે પછી ઝગડાનો,બધામાં જ વસૂલી થતી હતી.જો વિદેશથી અંડરવર્લ્ડનો ફોન આવી જતો તો પોલીસ પણ મામલો રફેદફે કરી દેતી હતી.
નકલી નોટોના કારોબાર સાથે કનેક્શન
મલિકે કહ્યું કે, જ્યારે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધી થઈ તે સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદ, નકલી નોટ, બ્લેક મનીના અંત માટે નોટબંધી થઈ રહી છે.ત્યાર બાદ દેશભરમાંથી નકલી નોટો પકડાઈ. પરંતુ 8 ઓક્ટોબર, 2017 સુધી મહારાષ્ટ્રમાંથી નકલી નોટોનો એક પણ કેસ સામે ન આવ્યો કારણ કે, ફડણવીસના પ્રોટેક્શનમાં નકલી નોટોનો ખેલ ચાલી રહ્યો હતો. 8 ઓક્ટોબર, 2017ના રોજ એક દરોડા દરમિયાન 14 કરોડ 56 લાખની નકલી નોટો પકડાઈ અને ફડણવીસે તે કેસ રફેદફે કરાવેલો.તેમાં ઈમરાન આલમ શેખ,રિયાઝ શેખ પકડાયેલા પરંતુ બાદમાં તે જપ્તી 8 લાખ 80 હજાર રૂપિયાની ગણાવીને કેસ દબાવી દેવાયેલો.

