નવી દિલ્હી,તા.10.ડિસેમ્બર 2021 : તામિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત સહિત 13ના મૃત્યુ થયા છે.આ દુર્ઘટનાના સાક્ષી એવા સ્થાનિક લોકો આજે પણ વિશ્વાસ નથી કરી રહ્યા કે આટલો મોટો અકસ્માત સર્જાયો છે.કુન્નુરના રહેવાસી શિવકુમારે કહ્યુ હતુ કે,હેલિકોપ્ટર ક્રેશ થયેલા બચેલા જે લોકોને અમે અકસ્માત સ્થળેથી ખસેડી રહ્યા હતા તેમાં જનરલ રાવત હતા તે મને તે વખતે ખબર પણ નહોતી.
શિવકુમારે કહ્યુ હતુ કે,તેમણે મને કહ્યુ હતુ કે,થોડુ પાણી પીવુ છે મારે પ્લીઝ,..તેઓ મને સાંભળી રહ્યા હતા અને મારા શબ્દો પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા હતા.હું પાણી ના લાવી શક્યો હતો.કારણકે તેના માટે મારે 100 મીટર પાછા જવુ પડે તેમ હતુ અને તે વખતે તેમને હોસ્પિટલ પહોંચાડવા જરુરી હતા.
શિવકુમાર બાંધકામ સાઈટ પર કામ કરે છે અને તેમનો દાવો છે કે,તેમણે જનરલ રાવતને જીવતા જોયા હતા.
એક મીડિયા વેબસાઈટ સાથે શિવકુમારે વાત કરતા હતુ કે,મારા સબંધીઓને જનરલ રાવત હેલિકોપ્ટર ક્રેશ થયુ તેનાથી લગભગ 60 મીટર દુર મળ્યા હતા.તેઓ તે વખતે જીવતા હતા.મેં તેમને કહ્યુ હતુ કે,હું રેસ્ક્યુ ટીમમાંથી છું અને તમે ચિંતા ના કરતા,તમે સાજા થઈ જશો.તેઓ મારી સામે જોઈ રહ્યા હતા અને મને લાગે છે કે,તેઓ મને સાંભળી શકતા હતા.
શિવકુમારે આગળ કહ્યુ હતુ કે,હું કામ પર જવા નિકળી રહ્યો હતો અને મારા પિતરાઈનો મારા પર ફોન આવ્યો હતો કે,એક હેલિકોપ્ટર ઝાડ સાથે ટકરાયુ છે અને તેમાં આગ લાગી ગઈ છે.હું ત્યાં પહોંચ્યો હતો.પણ અમે હેલિકોપ્ટર પાસે જઈ શકીએ તેમ નહોતા.કારણકે તેમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી હતી.મેં કેટલાક લોકોને જોયા જે સળગી રહ્યા હતા ને જંગલ પાસે કુદી ગયા હતા.
તેમણે કહ્યુ હતુ કે,અમે નજીક ગયા ત્યારે જોયુ હતુ કે,આમાંથી બેના શ્વાસ ચાલી રહ્યા છે અને આ પૈકીના એક વ્યક્તિ બિપિન રાવત હતા.તેઓ 60 ટકા જેટલા દાઝી ગયા હતા.ચહેરા પર બહુ ઓછી ઈજાઓ હતી અને તે દરમિયાન અમે પોલીસ અને એમ્બ્યુલન્સને એલર્ટ કરી હતી.આ કાફલો બહુ જલદી આવી ગયો હતો.શરુઆતમાં ઈજાગ્રસ્તોને અમે ધાબળા ઓઢાડીને અકસ્માત સ્થળેથી દુર ખસેડયા હતા.તે વખતે અમારી પાસે સ્ટ્રેચર નહોતા.