- આજે દેશ સામે 2 સૌથી મોટા સવાલ છે બેરોજગારી અને મોંઘવારી,આ સવાલોનો જવાબ નથી મુખ્યમંત્રી આપતા,નથી વડાપ્રધાન આપતા
નવી દિલ્હી,તા.18 ડિસેમ્બર,શનિવાર : કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ભાજપા હટાવો, મોંઘવારી ભગાઓ પદયાત્રામાં સામેલ થવા માટે અમેઠી પહોંચી ગયા છે.કોંગ્રેસના યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમના સાથે જ છે.રાહુલના આગમન સમયે કોંગ્રેસી કાર્યકરો ખૂબ જ ઉત્સાહિત જણાયા હતા.કાર્યકરોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે,’થોડાંક દિવસો પહેલા પ્રિયંકા મારી પાસે આવી અને તેણે મને કહ્યું કે,લખનૌ ચાલો.મેં તેને કહ્યું કે,લખનૌ જતાં પહેલા હું મારા ઘરે જવા ઈચ્છું છું.અમેઠી મારૂં ઘર છે અને કોઈ મને અહીંથી અલગ ન કરી શકે.’
રાહુલ ગાંધીએ કહ્યું કે,’2004માં હું રાજકારણમાં આવેલો અને પહેલી ચૂંટણી હું અહીંથી લડ્યો હતો અને તમે મને રાજકારણ શીખવ્યું.હું તમારો આભાર માનું છું.આજે દેશ સામે 2 સૌથી મોટા સવાલ છે બેરોજગારી અને મોંઘવારી.આ સવાલોનો જવાબ નથી મુખ્યમંત્રી આપતા,નથી વડાપ્રધાન આપતા.’
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે,થોડાંક દિવસો પહેલા તમે જોયું હશે કે વડાપ્રધાન ગંગાજીમાં સ્નાન કરી રહ્યા હતા.પરંતુ વડાપ્રધાન દેશને એ નથી કહી શકતા કે દેશમાં રોજગારનું સર્જન શા માટે નથી કરી રહ્યા? શા માટે રોજગાર ખતમ થઈ ગયા છે? આપણા દેશના યુવાનોને રોજગાર શા માટે નથી મળી રહ્યો?
બીજો સવાલ છે કે,મોંઘવારી આટલી ઝડપથી શા માટે વધી રહી છે? નરેન્દ્ર મોદી તમને આ સવાલોનો જવાબ નહીં આપે માટે હું તમને તેનો જવાબ આપી રહ્યો છું.ભાઈઓ અને બહેનો,આ દેશને નાના ધંધાઓવાળા મિડલ ક્લાસ દુકાનદારો રોજગાર આપે છે.વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા આંખ બંધ કરીને તેમના પર હુમલો કર્યો.ત્યાર બાદ જીએસટી લાગુ કરી દીધો.ત્યાર બાદ કોરોના વાયરસની ત્રીજી લહેર આવ્યા બાદ કોઈ સહાયતા ન આપી.માટે દેશમાં મોંઘવારી અને બેરોજગારી બંને વધી રહ્યા છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે,નરેન્દ્ર મોદીએ બધું જ પોતાના 2-3 પૂંજીપતિ મિત્રોના હવાલે કરી દીધું છે.નરેન્દ્ર મોદી કાળા કૃષિ કાયદા લાવ્યા અને એક વર્ષ બાદ માફી માગીને કાયદા પાછા લઈ લીધા.દેશની સુરક્ષા ખતરામાં છે.ચીન ભારતના પ્રદેશમાં ગામ વસાવી રહ્યું છે અને મોદીજી ચૂપ છે.