– ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અગાઉની સરકારોએ સુરત સાથે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
સુરત : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અગાઉની સરકારોએ સુરત સાથે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સુરતને અગાઉની સરકારોમાં અન્યાય થતો હોવાનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સાર્વજનિક મંચ પરથી પરોક્ષ રીતે સ્વીકાર કર્યો છે.પાટીલે કહ્યું કે વારંવારની રજૂઆતો છતા પણ વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે સુરતને ગ્રાંટ પૂરતી ફાળવવામાં આવતી નહોતી.
પાટીલે નાણામંત્રી કનુભાઈ દેસાઈને સુરત માટે જરૂરી ગ્રાંટ ફાળવવાની હાકલ પણ કરી છે.સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલની હાજરીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈને સુરત માટે ગ્રાંટ ફાળવવાની જરૂરીયાત જણાવી દીધી હતી.સ્વાભાવિક રીતે જ પાટીલના અંદાજથી હળવુ હાસ્ય પણ ફેલાયુ છે.પાટીલના ભાષણ અગાઉ દર્શનાબેન જરદોશે હવે સુરતનો સુવર્ણકાળ શરૂ થયો હોવાનુ નિવેદન પણ આપ્યુ હતુ કેમ કે સુરતમાં મહાનગર પાલિકા અઢી દશક કરતા પણ વધુ સમયથી ભાજપની છે અને રાજ્યમાં સરકાર પણ અઢી દશકથી ભાજપની છે ત્યારે સુરતને ગ્રાંટ પૂરતી ન મળતી હોવાનું કહીને સી.આર.પાટીલ કઈ સરકાર તરફ ઈશારો કરી રહ્યા હતા તે તમામ લોકો શાનમાં સમજી ગયા હતા.પાટીલનું આ નિવેદન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર્પોરેશનના કાર્યક્રમમાં આવ્યું છે.જો કે આ અગાઉ પણ એઈમ્સ હોય કે અન્ય વાત સી.આર. પાટીલ આ જ પ્રકારે ઈશારા ઈશારામાં ઘણુ બધુ કહી ગયા છે.


