દિલ્હી : દેશમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે. પુખ્ત વયના લોકોની જેમ બાળકોએ પણ રસી માટે નોંધણી કરાવવી પડશે.બાળકોની નોંધણી પણ CoWIN પ્લેટફોર્મ પર કરવામાં આવશે.નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ ડૉ.આરએસ.શર્માએ જણાવ્યું કે,1 જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વયના બાળકો રસી માટે નોંધણી કરાવી શકશે.
ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર,સરકારે સોમવારે સવારે કહ્યું કે બાળકો આ માટે સ્ટુડન્ટ આઈડીનો ઉપયોગ કરી શકે છે. એએનઆઇએ CoWIN પ્લેટફોર્મના વડા ડૉ.આર.એસ.શર્માને ટાંકીને જણાવ્યું હતું કે CoWIN પર વિદ્યાર્થીઓની નોંધણી માટે તેમના ID કાર્ડનો ઉપયોગ કરવાની જોગવાઈ છે,કારણ કે કેટલાક પાસે આધાર કાર્ડ ના પણ હોય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જાહેરાત કરી હતી કે,3 જાન્યુઆરીથી બાળકોને કોરોના વાયરસ સામે રસી આપવામાં આવશે.તેમણે કહ્યું હતું કે આનાથી વાયરસ સામેની લડાઈને વેગ મળશે અને દેશભરની શાળાઓને સામાન્ય સ્થિતિમાં લાવવામાં મદદ મળશે.
તેમણે 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. 15થી 18 વર્ષની વયના લોકોની સંખ્યા 7 થી 8 કરોડની વચ્ચે છે.તેમને હવે ભારત બાયોટેકની કોવેક્સિનનો ડોઝ આપવામાં આવશે.સરકારે કોવેક્સિનને 12થી 18 વર્ષની વયના બાળકો પર ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.