- મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ઠંડીના પ્રભુત્વમાં સાધારણ ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે 28 ડિસેમ્બરે બનાસકાંઠા,સાબરકાંઠા, મહેસાણા,પાટણ,કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી.પરંતુ બુધવારથી લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો અનુભવાશે.બીજી તરફ ફરીવાર માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.ત્યારે બટાટા,વરિયાળી અને જીરુંમાં ફૂગ સહિતનો રોગચાળો આવવાની દહેશત રહેલી છે.રાજકોટ અને પોરબંદર સહિત કચ્છમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ઘઉં,રાયડો,ચણા,એરંડા,જીરું જેવા પાકોમાં નુકશાન થવાની ભીતિ
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. કમોસમી વરસાદની આગાહીને પગલે રાયડો,એરંડા,જીરું,ચણા સહિતના રોકડીયા પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.જેમાં ચાલુ વર્ષે રવીપાકના વાવેતરમાં સૌથી વધુ 1.63 લાખ હેક્ટર જમીનમાં રાયડો,1.17 લાખ હેકટર જમીનમાં ઘાસચારો,61 હજાર હેકટર જમીનમાં ઘઉં,58 હજાર હેક્ટર જમીનમાં બટાકા,50 હજાર હેકટર જમીનમાં જીરાનું તેમજ 6 હજાર હેકટર જમીનમાં શાકભાજી સહિત અન્ય પાકો મળીને જિલ્લામાં કુલ 4.75 લાખ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.