ખનન કામ બંધ રહ્યું હોવાના કારણે ભવન નિર્માણ સામગ્રીની તંગી વર્તાઈ રહી હતી જેને દૂર કરવા માટે મોટા પાયે બ્લાસ્ટ કરવામાં આવ્યા હોવાની આશંકા
નવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી,શનિવાર : હરિયાણાના ભિવાની જિલ્લા ખાતે નવા વર્ષના પહેલા જ દિવસે એક ભારે મોટી કુદરતી હોનારત સર્જાઈ છે.પહાડમાં તિરાડ પડવાના કારણે તે સરકવા લાગ્યો હતો અને આશરે 8થી 10 વાહનો તેના નીચે દટાઈ ગયા હતા.તેમાં આશરે 15થી 20 લોકો પહાડ નીચે દટાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.પહાડ નીચે દટાયેલા 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ ડાડમ ખનન ક્ષેત્ર ખાતે પહાડનો મોટો હિસ્સો સરકવાના કારણે આ દુર્ઘટના બની છે.દુર્ઘટના અંગે જાણ થયા બાદ પ્રશાસને રાહત કાર્ય શરૂ કરાવી દીધું હતું.ઉપરાંત તે સ્થળે મીડિયાકર્મીઓ અને સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.ઘટના સ્થળે પહોંચેલા કૃષિ મંત્રી જેપી દલાલ અને એસપી અજીત સિંહ શેખાવતે ઘટના સ્થળનો તકાજો મેળવ્યો હતો.
આ દુર્ઘટનામાં ખનન માટે ઉપયોગમાં લેવાતી પોપલૈન્ડ અને અન્ય કેટલાય મશીનો પણ કાટમાળ નીચે દટાયા છે.હાલ પહાડ સરકવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું.પહાડ પોતાની જાતે જ સરક્યો છે કે,ધમાકાના કારણે આ દુર્ઘટના બની તે અંગેની તપાસ ચાલુ છે.
શુક્રવારે થયું હતું ખનનકામ
તોશામ ક્ષેત્રના ખાનક અને ડાડમ ખાતે મોટા પાયે પહાડ ખનનકામ થાય છે.પ્રદૂષણના કારણે 2 મહિના પહેલા ખનનકામ પર પ્રતિબંધ મુકાયો હતો.એનજીટી દ્વારા ગુરૂવારે જ ખનન કામ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.આશરે 2 મહિના સુધી ખનન કામ બંધ રહ્યું હોવાના કારણે ભવન નિર્માણ સામગ્રીની તંગી વર્તાઈ રહી હતી જેને દૂર કરવા માટે મોટા પાયે બ્લાસ્ટ કરવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.