કોરોના સંકટ વચ્ચે કેન્દ્રનો રાજ્યને પત્ર, ઓક્સિજનના બફર સ્ટોક અંગે આપી સૂચના

412
  • કેન્દ્રએ રાજ્યોને પત્ર લખીને ઓક્સિજન અંગે નિર્દેશ આપ્યા છે

દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે,ત્યારે કેન્દ્રએ રાજ્યોને પત્ર લખીને ઓક્સિજન અંગે નિર્દેશ આપ્યા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે.આ પત્રમાં તેમણે તમામ મુખ્ય સચિવોને આરોગ્ય સુવિધાઓ પર મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને સૂચના આપી છે કે,દર્દીની સંભાળ રાખતી તમામ આરોગ્ય સુવિધાઓ હોય અને ઓછામાં ઓછા 48 કલાક માટે મેડિકલ ઓક્સિજનનો પૂરતો બફર સ્ટોક હોવો જોઇએ.તમામ આરોગ્ય સુવિધાઓ પર લિક્વિડ મેડિકલ ઓક્સિજનની ટાંકીઓ ભરેલી હોવી જોઈએ.ટેન્કોને રિફિલ કરવા માટે અવિરત પુરવઠો હોવો જોઈએ.તમામ પીએસએ પ્લાન્ટ સંપૂર્ણ કામ કરવાની સ્થિતિમાં હોવા જોઈએ,પ્લાન્ટની જાળવણી માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ.તમામ આરોગ્ય સુવિધાઓ પર પૂરતી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર હોવા જોઈએ.ઓક્સિજન સિલિન્ડરમાં બેકઅપ સ્ટોક અને મજબૂત રિફિલ સિસ્ટમ હોવી જોઈએ.ઉચ્ચ સ્તરના હોસ્પિટલોમાં લાઇફ સપોર્ટ ઉપકરણ ઉપલબ્ધ હોવા જોઈએ.ઓક્સિજન કંટ્રોલ રૂમને ફરીથી કાર્યરત કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,94,720 નવા કેસ નોંધાયા છે અને 442 લોકોના મોત થયા છે.જેની સામે 60,405 લોકો સાજા થયા છે.ભારતમાં હાલમાં 9,55,319 સક્રિય કેસ છે.પોઝિટિવિટી રેટ પણ 11.05 ટકા પર પહોંચી ગયો છે.આ દરમિયાન ઓમિક્રોનના 4,868 કેસ નોંધાયા છે.ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના 26,657 વધુ કેસ નોંધાયા છે એટલે કે માત્ર એક જ દિવસમાં લગભગ 15.8 ટકા કેસ વધી ગયા છે.

Share Now