- આ અગાઉ 11મી જાન્યુ.એ ‘યુદ્ધ જહાજ’ વિશાખાપટ્ટનમ ઉપરથી મિસાઇલનું પરીક્ષણ કરાયું હતું
નવી દિલ્હી : ભારતે,ગુરૂવારે ઓડિશાના બાલાસોરના સમુદ્ર-તટ ઉપરથી બ્રહ્મોસ સુપર સોનિક ક્રૂઝ મિસાઇલનાં નવા વેરીયન્ટનું સફળ પરીક્ષણ કર્યું હતું.આ માહિતી કેટલીક ન્યુઝ એજન્સીઓએ,સંરક્ષણ વિભાગના જણાવવાથી પ્રસિદ્ધ કરી હતી.
આ અંગે સૂત્રો જણાવે છે કે બ્રહ્મોસનું આ નવું વેરીયન્ટ કેટલીક નવી ટેકનિકલ બાબતોથી સજ્જ કરાયું હતું.આથી આ પરીક્ષણ સાથે નવા ટેકનિકલ સાધનોનું પણ પરીક્ષણ થઈ ગયું છે અને તેમાં સફળતા પણ મળી છે.
આ પૂર્વે ભારતે આ જ મિસાઇલનું એક પરીક્ષણ યુદ્ધ નૌકા વિશાખાપટ્ટનમ ઉપરથી તા.11મી જાન્યુઆરીએ કર્યું હતું અને તે પણ સફળ રહ્યું હતું.અને મિસાઇલ તેના નિર્ધારિત નિશાન ઉપર ત્રાટક્યું હતું.
આ બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રૂસ વચ્ચે થયેલા કરારો પ્રમાણે ભારતમાં જ બનાવવામાં આવે છે.તેનું નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોરકોવા નદીના બ્રહ્મ-મોસ નામને જોડી રાખવામાં આવ્યું છે.તેની સમગ્ર સંરચના ભારતના ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એ કરી છે.
આ મિસાઇલ પરીક્ષણ જે યુદ્ધ જહાજ વિશાખાપટ્ટનમ ઉપરથી કરાયું તે યુદ્ધ જહાજ ભારતનું અત્યંત આધુનિક સ્વ-નિર્મિત યુદ્ધ જહાજ છે.તેમાં પણ શસ્ત્રોની નવી પ્રણાલિકા ગોઠવવામાં આવી છે અને તે મિસાઇલ્સ છોડવા માટેની સંપૂર્ણ પ્રણાલિકા ધરાવે છે.આ ઉપરાંત બ્રહ્મોસની આ નવી આવૃત્તિમાં બીજા યુદ્ધ જહાજો ઉપર પણ ગોઠવવામાં આવી છે.
બ્રહ્મોસને પાણીની નીચેથી પણ છોડી શકાય તેવી આવૃત્તિ પણ તૈયાર કરવામાં આવી છે.જે ભારતની સબમરીનોમાં ગોઠવવામાં આવી રહી છે.તેની મિત્ર દેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે.તે પણ સર્વવિદિત છે કે,ભારતે સંપૂર્ણતઃ સ્વનિર્મિત તેવી તેની પહેલી અણુ સબમરીન અરિહન્ત પણ કાર્યરત કરી દીધી છે.

