- પાંચ વર્ષ માટે નવા વીસીની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
- હાલમાં ૫૯ વર્ષીય પંડિત પુણેની સાવિત્રીબાઇ ફુલે યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર
નવી દિલ્હી,તા.૭ : શિક્ષણ મંત્રાલયે પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટી(જેએનયુ)ના વાઇસ ચાન્સેલર તરીકે પુણે યુનિવર્સિટીના પ્રોફેસર શાંતિશ્રી ધુલીપુડી પંડિત તરીકે નિમણૂક કરી છે.તેઓ આ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બની ગયા છે.
ઉલ્લેખનીય છે કે પંડિત હાલમાં મહારાષ્ટ્રની સાવિત્રીબાઇ ફુલે યુનિવર્સિટીના પોલિટિક્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર છે.ઉલ્લેખનીય છે કે ૫૯ વર્ષીય શાંતિશ્રી ધુલીપુડી પંડિત જેએનયુના પૂર્વ વિદ્યાર્થી પણ છે તેમણે અહીંથી એમફિલ અને ઇન્ટરનેશલ રિલેશનમાં પીએડી કર્યુ હતું.
શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જેએનયુના વાઇસ ચાન્સેલર તરીકે શાંતિશ્રી ધુલીપુડી પંડિતની નિમણૂકને મંજૂરી આપી છે.તેમની પાંચ વર્ષ માટે આ પદ પર નિમણૂક કરવામાં આવી છે.
તેમણે ૧૯૮૮માં ગોવા યુનિવર્સિટીમાંથી ટિચિંગ કારકિર્દી શરૃ કરી હતી.૧૯૯૩માં તેમની પુણે યુનિવર્સિટીમાં નિમણૂક કરવામાં આવી હતી. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તેમને વહીવટી અનુભવ પણ છે.તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી) અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ(આઇસીએસએસઆર)ના સભ્ય છે અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓેના વિઝિટર નોમિની પણ છે.
તેમણે પોતાની પ્રોફેસર તરીકેની કારકિર્દીમાં પીએચડીના ૨૯ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડયું છે.તેઓ એમ જગદીશ કુમારનું સ્થાન લેશે.એમ જગદીશ કુમાર જેએનયુના કાર્યકારી વાઇસ ચાન્સેલર હતાં.તેમના વાઇસ ચાન્સેલર તરીકેના પાંચ વર્ષ ગયા વર્ષે જ પૂર્ણ થઇ ગયા હતાં.ગયા સપ્તાહમાં એમ જગદીશ કુમારની યુજીસીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.