કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ ખતરનાક વાયરસથી એક તરફ લોકોના જીવને જોખમ છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર પણ માઠી અસર થઈ છે. કોરોનાના કારણે મોટાભાગે દેશોના માર્કેટ ધડામથી પટકાયા છે અને આર્થિક વિકાસની ગતિમાં મોટો અવરોધ ઉભો થયો છે. ત્યારે હવે મીડિયા રિપોર્ટ મુજબ ફિચ સોલ્યુશન્સે બુધવારે જણાવ્યું કે કોરોના વાયરસ મહામારીથી લાગી રહેલા આર્થિક ઝાટકાને સહન કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) એ 1 એપ્રિલ, 2020થી શરૂ થતા નાણાકીય વર્ષ દરમિયાન પ્રમુખ વ્યાજદરોમાં 175 આધાર અંક એટલે કે 1.75 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. આ આંકડો ગત વર્ષના 40 આધાર અંકના અનુમાનથી ઘણો વધારે છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ રેટ 4.9 ટકાના અનુમાન:
રેટિંગ એજન્સીએ અનુમાન લગાવ્યા કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ રેટ 4.9 ટકા, જ્યારે 2020-21માં 5.4 ટકા રહેવાની શક્યતાઓ છે. ફિચે તેની રિપોર્ટમાં કહ્યું કે,‘અમને અપેક્ષા છે કે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન આરબીઆઈના પ્રમુખ નીતિગત દરોમાં 1.75 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. જ્યારે પહેલા આ અનુમાન 0.40 ટકા હતો. આનાથી નીતિગત રેપો દર 3.40 ટકા અને 3 ટકા થઈ જશે. જે હાલમાં 5.15 ટકા અને 4.75 ટકા છે.’
મોંઘવારીમાં થશે ઘટાડો:
ફિચ સોલ્યુશન મુજબ તેલની કિંમતોમાં ઘટાડો થતા આવનારા સમયમાં મોંઘવારીથી રાહત મળી શકે છે. સાથે જ ફેબ્રુઆરી મહિનામાં રવી પાકથી ખાદ્ય સપ્લાયમાં સુધારો થઈ શકે છે. જેના કારણે ખાદ્ય મોંઘવારીમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. માર્ચમાં કાચ્ચા તેલના ભાવ 50 ડોલરથી ગગડીને 30 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા છે.