અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર : અમદાવાદ કોંગ્રેસના વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યુ છે.અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયુ છે.જયરાજસિંહ પરમાર બાદ હવે વધુ એક નેતાનું રાજીનામું પડ્યું છે.આ ઉપરાંત અન્ય કોર્પોરેટર પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને રાજીનામુ આપશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્યા છે.પોતાને પ્રાધાન્ય મળતુ ન હોવાની ફરિયાદ સાથે નારાજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં છે.જેમાં જયરાજસિંહ પરમારના રાજીનામા બાદ અનેક નેતાઓની નારાજગી સામે આવી છે.ત્યારે આ લિસ્ટમાં દિનેશ શર્માનું નામ જોડાયુ છે.દિનેશ શર્મા અગાઉ વારંવાર પક્ષ સામે નારાજગી દર્શાવી ચૂક્યા છે.