(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫ : ભારતમાં બિટકોઇન સહિતની ક્રિપ્ટોેકરન્સીનું ટ્રેડિંગ કાયદેસર છે કે નહીં તે અંગે વલણ સ્પષ્ટ કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે.
ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ સૂર્ય કાંતની બનેલી ખંડપીઠે અજય ભારદ્વાજ અને અન્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઇઆર રદ કરવાના કેસમાં કેન્દ્ર સરકારને આ નિર્દેશ આપ્યા હતાં. આ આરોપીઓએ અનેક લોકોને બિટકોઇનમાં ઉંચા વળતરની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી.બિટકોઇનના વેપારમાં સંડોવણી બદલ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ખંડપીઠે કેન્દ્ર સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર સ્પષ્ટ કરે કે ભારતમાં બિટકોઇન સહિત ક્રિપ્ટો કરન્સીનોવેપાર કાયદેસર છે કે નહીં.આ સંદર્ભમાં ભારત સરકાર દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવે.
તેના જવાબમાં ભાટીએ જણાવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીનો વેપાર કાયદેસર છે કે નહીં તે અંગે તે ટૂંક સમયમાં એફિડેવિટ દાખલ કરશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે એફઆઇઆર રદ કરવાની માગ કરનાર આરોપી તપાસ એજન્સીને પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી.ઉલ્લેખનીય છે કે આરોપીને ૨૦૧૯માં કોર્ટ દ્વારા જામીન મળ્યા હતાં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ લોકો સાથે છેતરપિંડી આચરવા બદલ ૪૭ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.૨૦,૦૦૦ કરોડ રૃપિયાના ૮૭૦૦૦ બિટકોઇનના વેપારમાં સંડોવણી બદલ તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ખંડપીઠે જણાવ્યું હતું કે અમે અમે અરજકર્તાને બે દિવસમાં ઇડીના તપાસ અધિકારીઓ સમક્ષ બે દિવસમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.ઇડીને પણ ચાર સપ્તાહ કે તે અગાઉ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

