– દર વખતના મેળા કરતા ત્રીજા દિવસે બે ગણી મેદની
– આજે મુખ્યમંત્રી ભવનાથ મહાદેવના દર્શન કરી ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં ઉપસ્થિત રહેશે,બે દિવસ ભારે ભીડ થવાની શક્યતા,કાલે રાત્રે સાધુસંતોની રવેડી
જૂનાગઢનાં ભવનાથમાં તળેટીમાં ચાલી રહેલા મહાશિવરાત્રી મેળાના ત્રીજા દિવસે આજે અંદાજે છ લાખ જેટલા લોકો ઉમટી પડયા હતા.અને મેળાની મજા માણી હતી.આવતીકાલે મુખ્યમંત્રી ભવનાથ મહાદેવના દર્શન કરી ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં હાજરી આપશે.આવતીકાલે અને શિવરાત્રીના ભારે ભીડ થાય એવી શક્યતા છે.
ગિરનાર તળેટીમાં હાલ મહાશિવરાત્રી મેળાની રંગત જામી છે.અને કોરોનાના લીધે બે વર્ષથી મેળો બંધ હોવાથી આ વખતે મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી રહ્યા છે.આજે વહેલી સવારથી એસટી બસ, ખાનગી વાહનોમાં લોકો જૂનાગઢ પહોંચ્યા હતા.અને ભવનાથ તળેટી તરફની વાટ પકડી હતી.આ ઉપરાંત આજે રવિવારની રજા હોવાથી સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારના લોકો પણ મેળામાં ઉમટી પડયા હતા.આજે સવારથી રાત સુધીમાં અંદાજે છએક લાખ લોકો મેળો માણવા ઉમટી પડયા હતા.અને ભવનાથ મહાદેવના અને સાધુસંતોના દર્શન કરી અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ લીધો હતો.બાદમાં ચકડોળ તેમજ વિવિધ રાઈડ્સમાં બેસી મેળાનો આનંદ ઉઠાવ્યો હતો.
આવતીકાલે તા.૨૮ ના સવારે મુખ્યમંત્રી પ્રકૃતિધામ ખાતે બનાવેલા હેલીપેડ ખાતે હેલિકોપ્ટરમાં મેળામાં આવશે. અને તેઓ ભવનાથ મહાદેવ મંદિરે દર્શન કરી ભરતીબાપુના આશ્રમ ખાતે આયોજીત ધર્મોત્સવમાં હાજરી આપ્યા બાદ શેરનાથબાપુ અને ઇન્દ્રભારતીબાપુના આશ્રમની મુલાકાત લેશે.આવતીકાલે પણ ભારે ભીડ થવાની શક્યતા છે.
જ્યારે તા.૧ના મંગળવારે મહાશિવરાત્રિની ઉજવણી થશે.જેમાં દિવસ દરમ્યાન સાધુ સંતો દ્વારા શિવજીની આરાધના કરવામાં આવશે.અને ભાંગની પ્રસાદી આપવામાં આવશે.તેમજ રાત્રીના બેન્ડવાજા સાથે પરંપરાગત રીતે સાધુ સંતોની રવેડી યોજાશે. જેમાં વિવિધ આખાડાઓના સાધુ સંતો અંગક્સરત અને લાથીદાવ સહિતના કરતબ રજૂ કરશે.અને ત્યારબાદ રવેડી ભવનાથ મંદિરે પહોંચશે.જ્યાં મહાઆરતી બાદ સાધુ સંતો મૃગી કુંડમાં સ્નાન કરશે.
દરવખતે મહાશિવરાત્રી મેળાના બીજા અને ત્રીજા દિવસે બે અને ત્રણ લાખ જેટલા લોકો આવતા હતા.પરંતુ આ વર્ષે આ દિવસોમાં બે ગણી મેદની જોવા મળી રહી છે.
એસટી બસ સ્ટેન્ડ ખાતે બસમાં જવા માટે લોકોની લાંબી કતારો
એસટી દ્વારા બસસ્ટેન્ડથી ભવનાથ જવા મિનિબસ મુકવામાં આવી છે.ગઈકાલથી બસ સ્ટેન્ડ ખાતે ભવનાથ જતી બસમાં જવા માટે લોકોની લાંબી કતાર લાગી રહી છે.આજે બસ સ્ટેન્ડમાં અને શહેરના અન્ય વિસ્તારોમાં મેળાનો ટ્રાફિક જોવા મળ્યો હતો.
બસ,રીક્ષા સહિતના વાહનોને ભવનાથમાં જવા પર પ્રતિબંધ
ભવનાથમાં જવા બસ,રીક્ષા જતી હતી.પરંતુ આજે બપોરબાદ ભારે ભીડ થઈ જવાથી તંત્ર દ્વારા મેળાના પ્રવેશદ્વાર ભરડાવાવ ખાતેથી તમામ વાહનોને પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી.ગિરનાર રોડ પર લોકોના પ્રવાહમાં વાહન ચાલી શકે તેમ ન હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
મેળામાં વિખૂટાં પડી ગયેલા છ બાળકોનું કરાવાયું મિલન
મહાશિવરાત્રી મેળા દરમ્યાન મોટી સંખ્યામાં લોકોની ભીડના લીધે છ જેટલા બાળકો તેના પરિવારજનોથી વિખુટા પડી ગયા હતા.તેઓનું ભવનાથમાં કંટ્રોલ રૂમના માધ્યમથી પરિવાર સાથે મિલન થયું હતું.
શિવરાત્રિ નિમિત્તે ઘેલા સોમનાથ મંદિર ૨૪ કલાક ખુલ્લું રખાશે
મંદિર ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા સાત હજાર ભાવિકોને ફરાળનો પ્રબંધ; ભૂદેવો-સાધુઓ પણ લેશે પ્રસાદ
જસદણ નજીક સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે,જે અંતર્ગત વિવિધ ધર્માનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે.
ઘેલા સોમનાથ ખાતે તા. ૧-૩ ને મંગળવારે મહા શિવરાત્રીનાં દિવસે આખો દિવસ જળાભિષેક તથા દૂધ અભિષેક થશે.શિવરાત્રીના દિવસે દર્શનાર્થીઓ માટે મંદિર ૨૪ કલાક ખુલ્લું રહેશે.વહેલી સવારે ૫ કલાકે મંગળા આરતી થશે.બપોરના ૧૧ કલાકે મહાપુજા થશે. બપોરના ૧૨ કલાકે મહા આરતી થશે.સાંજે ૭-૩૦ કલાકે સંધ્યા આરતી થશે.રાત્રે ૯ કલાકે ચાર પહોરની પ્રથમ આરતી થશે.રાત્રે ૧૨ કલાકે ચાર પહોરની બીજી આરતી થશે .રાત્રે ૨ કલાકે ચાર પહોરની ત્રીજી આરતી થશે .તા. ૨-૩ ને બુધવારે વહેલી સવારે ૫ કલાકે ચાર પહોરની ચોથી આરતી થશે
શિવરાત્રીના દિવસે મંદિરનો પુજાનો સમય સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીનો રહેશે.દાતાના સહયોગથી દાદાને ધ્વજા ચડાવવામાં આવશે. દર્શનાર્થી માટે મંદિર ટ્રસ્ટ અને દાતાના સહયોગથી સાત હજાર ભાવિકો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ છે બપોરના ૧ કલાકે અને સાંજે ૭ કલાકે ભુદેવ – સાધુ અને ભકતોને પ્રસાદમાં ફરાળ આપવામાં આવશે.અને દાદાને આખો દિવસ જુદા – જુદા શણગાર પુજારી હસુભાઈ જોષી દ્વારા કરવામાં આવશે.કાળાસર તથા લીલાપુર ગામના સ્વયંસેવક ભાઈઓ શિવરાત્રી પર્વ ઉપર આખો દિવસ પોતાની સેવા આપશે.


