– યુક્રેનને મિગ-29 આપવાનો પોલેન્ડનો પ્લાન યુએસે નકાર્યો
– યુક્રેનના વિદેશપ્રધાનનો દાવો : રશિયાએ માર્યુપોલ શહેરમાં ચાર લાખ નાગરિકોને બંદી બનાવ્યા છે
વોશિંગ્ટન : યુક્રેનના યુદ્ધને બે સપ્તાહ થઈ ગયા છે અને આટલા સમયગાળામાં રશિયાએ તેની ધારણા કરતાં મેળવ્યંા ઓછું છે અને સંઘર્ષ વધારે કર્યો છે.યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી મોટા સંઘર્ષમાં રશિયા દોઢ લાખથી વધારે લશ્કરી દળો સાથે ઘૂસીને હજી પણ મજબૂત સ્થિતિમાં છે.પણ યુક્રેનનો પ્રતિકાર આશ્ચર્યજનક છે.મોસ્કોનો મુખ્ય હેતુ કીવની સરકાર ગબડાવી તેના સ્થાને ક્રેમલિનને અનુકૂળ હોય તે સરકાર મૂકવાનો છે.શ્રેણીબદ્ધ નિષ્ફળતાઓના લીધે તેનું આક્રમણ ધીમું પડયું છે,પરંતુ અટક્યું નથી.
ખાસ કરીને રશિયાના હવાઈદળ અને ભૂમિદળ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે.તેના લીધે તે યુક્રેનના આકાશમાં અપેક્ષા મુજબનું હવાઈ પ્રભુત્વ સ્થાપવામાં સફળ રહ્યું નથી.
યુક્રેનના વિદેશપ્રધાને દાવો કર્યો છે કે રશિયાએ માર્યુપોલ શહેરમાં ચાર લાખ જેટલા નાગરિકોને બંદી બનાવ્યા છે.રશિયા દ્વારા માર્યુપોલ શહેરમાં મોટાપાયા પર થઈ રહેલા બોમ્બમારાના લીધે હજારો નાગરિકો અને સૈનિકોની સામૂહિક દફનવિધિ કરવામાં આવી છે.આ માટે ૨૦થી ૨૫ મીટરનો ખાડો ખોદી એક સાથે બધાને દફનાવાય છે.
અમેરિકાના અંદાજ મુજબ રશિયાએ યુક્રેનમમાં ગોઠવેલા તેના સશસ્ત્ર દળોનો ૯૫ ટકા પાવર જાળવ્યો છે.યુક્રેને રશિયાના કેટલાય સૈનિકો મારી નાખ્યા,વિમાનો તોડી નાખ્યા,બખ્તરબંધ વાહનોના નાશ કર્યો તેના પછીની આ સ્થિતિ છે.રશિયાના લગભગ બેથી ચાર હજાર જવાનો માર્યા ગયા છે.આમ છતાં પણ પુતિન પાછા જવાના મિજાજમાં નથી.સીઆઇએના કોંગ્રેસનલ ડિરેક્ટર વિલિયમ બર્ન્સે જણાવ્યું હતું કે પુતિન હતાશ થઈ ગયા છે.તેના પગલે આગામી સપ્તાહોમાં યુદ્ધ વધુને વધુ પ્રમાણમાં તીવ્ર બની શકે છે.
પુતિને જણાવ્યું છે કે તે પશ્ચિમ અને નાટો દ્વારા યુક્રેનને અવિરત શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવાનું ચલાવી નહી લે.તે જોતાં હવે આ યુદ્ધ પશ્ચિમમાં કેટલું લંબાય તેના અંગેની સૌથી મોટી ચિંતા છે.
પોલેન્ડે યુક્રેનને જર્મનીમાં અમેરિકાના અંકુશવાળા એરબેઝ પરથી યુક્રેનના પાયલોટ્સને મિગ-૨૯ પૂરા પાડવાની ઓફર કરી હતી.તેને અમેરિકાએ યુદ્ધ પશ્ચિમ સુધી લંબાવવાના ડરે તાત્કાલિક નકારી કાઢી હતી. કેટલાકને ચિંતા છે કે આ સંઘર્ષ વધારે જોખમી સ્વરૂપ ધારણ કરે તો પરમાણુ યુદ્ધ થઈ શકે છે.પુતિને પોતાનો ન્યુક્લિયર ફાયર પાવર એલર્ટ પર રાખ્યો છે.જો કે અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે રશિયાએ ન્યુકિલયર એલર્ટની ચીમકી આપ્યા પછી કોઈપણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ કરી નથી.આ દરમિયાન યુક્રેને એરસાઇરન વગાડીને નાગરિકોને શેલ્ટર હાઉસમાં જતા રહેવાનું કહ્યું હતું.સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રશિયાના હુમલાની સંભાવના ધરાવતા શહેરોમાં પ્રતિકાર ક્ષમતા વધારે તીવ્ર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.- –