નવી દિલ્હી, તા. 21 માર્ચ 2022, સોમવાર : અસાની વાવાઝોડું આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ ખાતે પહોંચી ગયું છે.ત્યારે આ બધા વચ્ચે સોમવારે સવારે ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા.ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (National Center for Seismology)ના અહેવાલ પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 મેગ્નિટ્યુડ જેટલી નોંધાઈ હતી.
આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના 276 કિમી ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં દિગલીપુર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર 15.66 અક્ષાંસ અને 92.30 રેખાંશ ઉપર 39 કિમી ઉંડાણમાં નોંધાયું હતું.ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ પ્રમાણે સોમવારે સવારે 3:25 કલાકે ભૂકંપના આંચકા આવ્યા હતા.જોકે સદનસીબે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
આ તારીખે પહોંચશે બાંગ્લાદેશ
વર્ષનું પ્રથમ વાવાઝોડું અસાની (Cyclone Asani) બંગાળની ખાડીમાં સર્જાયું હતું.હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આ વાવાઝોડું 22 માર્ચના રોજ બાંગ્લાદેશ-ઉત્તરી મ્યાંમારના કિનારે પહોંચશે.આ કારણે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના પ્રશાસને માછીમારો માટે એડવાઈઝરી જાહેર કરી છે.પ્રશાસને માછીમારોને 22મી માર્ચ સુધી દરિયાની નજીક ન જવા માટે અપીલ કરી છે.

