નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2022, શનિવાર : હૈદરાબાદ ખાતે લોકો સાથે વાત કરતી વખતે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી રડી પડ્યા હતા.તેમણે આંખોમાં આંસુ સાથે કહ્યું હતું કે, ખરગોન ખાતે મુસલમાનોના ઘર તોડી પાડવામાં આવ્યા, જહાંગીરપુરી ખાતે તેમના સાથે હિંસા થઈ પરંતુ તેઓ મેદાન છોડીને ભાગશે નહીં.તેમને મૃત્યુનો પણ ડર નથી લાગતો.
ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે, દેશમાં એક સમુદાયના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.તેમની નજરમાં એવી અનેક ઘટનાઓ છે જેમાં સીધી રીતે એક ધર્મના લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હોય.ઓવૈસીએ કહ્યું હતું કે, તમે લોકો હિંમત ન ગુમાવતા, જાલિમો તમે પણ સાંભળી લો, મને આ મોતથી કોઈ ડર નથી લાગતો, અમે તમારા જુલ્મોથી પણ નથી ડરવાના.તમારી હકૂમત પણ અમને ડરાવી નહીં શકે. અમે ધીરજથી કામ લઈશું પરંતુ કદી મેદાન નહીં છોડીએ.
ભાષણ દરમિયાન અનેક પ્રસંગે ઓવૈસીની આંખો ભિંજાઈ ગઈ હતી.તેઓ નારાજ હતા, અલ્પસંખ્યકો સામે થયેલી કાર્યવાહીના લીધે ઉશ્કેરાયેલા હતા.તેમણે અનેક પ્રસંગે તે વાતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે અલ્લાહના રસ્તે ચાલનારા છીએ, હિંમત રાખનારા છીએ.મુસ્લિમ સમાજ પાસે ફક્ત ઈમાનવાળી દોલત છે તેવામાં અલ્લાહ જ તેમના માટે રસ્તો ખોલશે.કોઈએ પણ દુખી થવાની જરૂર નથી, ઉતાર-ચઢાવ આવતા રહેશે પરંતુ દરેક પડકારોનો અડગતાથી સામનો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઓવૈસીએ અગાઉ પણ અનેક પ્રસંગે ઉત્તેજનાભર્યા ભાષણો આપ્યા છે.રામનવમી દરમિયાન જે હિંસાઓ થઈ તે મુદ્દે પણ તેમણે સોશિયલ મીડિયા પર સતત ટ્વિટ કરી હતી.તેમના મતે ફક્ત એક વિશેષ સમુદાય સામે બુલડોઝર વડે કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસ ફક્ત એક સમુદાયના લોકો સામે એક્શન લઈ રહી છે.ઓવૈસીએ તેને ભાગલા પાડનારૂં રાજકારણ ગણાવ્યું હતું.