અમદાવાદ,તા. 3 મે 2022,મંગળવાર : વાસણા અંબાજી મંદિર પાસે આજે પરોઢે 4 અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામને પોસ્ટર,બેનરો ફાડીને લોખંડની નામવાળી તખતી તોડી અશાંતિ સર્જવાનો પ્રયાસ કર્યો હતો.વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર વિભાગ 12ના પ્રમુખ હિતેશ ત્રિવેદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જે મુજબ ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા આજે વાસણા જીવરાજ પાર્ક ખાતે મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો હતો.મંદિર આસપાસ ભગવાન પરશુરામના બેનર અને પોસ્ટરો કાર્યકરોએ લગાવ્યા હતા.
રાત્રે અઢી વાગ્યે કાર્યકરો પોતપોતાના ઘરે ગયા હતા. પરોઢે 3.15 વાવ્યે ધ્રુવ ગઢીયા તેનું એક્ટિવા લઈ નીકળ્યો ત્યારે ચાર શખસ ભગવાન પરશુરામ બેનર અને પોસ્ટર પર લાકડી મારી ફાડી રહ્યા હતા.આ શખસોએ ચોકમાં લગાવેલી પરશુરામ ભગવાનના નામની લોખંડની તખતી તોડી નાખી હતી.ધ્રુવને જગ્યા પર ઉભેલો જોઈ ચારે શખ્સોએ અહીંયા કેમ ઉભો છે તેમ કહેતા તે ડરી ગયો હતો.ધ્રુવે ત્યાંથી નીકળી પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો.આમ અશાંતિ સર્જવાનો પ્રયાસ કરનાર આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.